કચ્છ જિલ્લાના પોલીસ વિભાગમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાને કારણે આકસ્મિક અવસાન થયું છે. કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીના આ રીતે અકાળે અવસાન થતાં જ સમગ્ર કચ્છ પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ એક નિષ્ઠાવાન સાથી ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
51 વર્ષીય જવાનનો દેહ વતન શિવલખા ગામે લવાયો
માત્ર 51 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકનો ભોગ બનેલા એએસઆઈ સુભાષચંદ્ર રાજગોરનો મૃતદેહ પંચભૂતમાં વિલીન થવા માટે તેમના વતન શિવલખા ગામે લાવવામાં આવ્યો હતો. જ્યારે તેમનો દેહ ગામમાં પહોંચ્યો હતો, ત્યારે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. શિવલખા ગામના પનોતા પુત્ર અને ખાખી વરદીનું ગૌરવ વધારનાર જવાનને અંતિમ વિદાય આપવા માટે આખું ગામ હિબકે ચડ્યું હતું.




Leave a Comment