દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના વિવિધ ધામોમાં વહેલી સવારથી જ ધાર્મિક વિધિ-વિધાનો અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મંગળા આરતીથી શરૂ થયો જન્માષ્ટમીનો ઉત્સવ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વહેલી સવારથી જ મંદિરોમાં મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે સવારથી જ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડાકોર, દ્વારકા અને શામળાજી સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મધરાતે 12 વાગ્યે થયો કાનુડાનો જન્મ
આખા દિવસની ધાર્મિક વિધિઓ બાદ ભક્તો આતુરતાપૂર્વક મધરાતના 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા હતા. ઘડિયાળના કાંટા 12 પર પહોંચતા જ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી શરૂ થઈ હતી. ભગવાનના જન્મ સાથે જ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘જય શ્રીકૃષ્ણ’ના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તો ભાવવિભોર બની ગયા હતા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે કાનુડાના જન્મની ખુશી મનાવી હતી.
હકડેઠઠ મેદની વચ્ચે ભક્તોએ કર્યા દર્શન
જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. મંદિરોમાં ભક્તિગીતો અને જયઘોષથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. મધરાતે જન્મોત્સવ બાદ ભક્તોએ એકબીજાને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.




Leave a Comment