ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિએ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાત્રે પરિવાર સાથે હોટલમાં ભોજન કર્યા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. રાત્રિના આશરે 11 વાગ્યાના સમયે તેઓ આહિર સિંહણ રોડ પર ધરમપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ગાય રસ્તા પર આવી ચઢતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
માથામાં ગંભીર ઈજા, ઘટનાસ્થળે જ મોત
અકસ્મતમાં બાઈક પર સવાર શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી, કે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ, બાઈક ચલાવી રહેલા તેના ભાઈ દર્શિલ અને દર્શનને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
રક્ષાબંધનના દિવસે જ ભાઈઓએ બહેન ગુમાવી
રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે જ બે ભાઈઓએ પોતાની બહેનને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે દિવસે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણી થઈ રહી હતી, એ જ દિવસે બનેલી આ કરુણ ઘટનાથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. શ્રીહરિના અકાળે અવસાનના સમાચારથી રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.




Leave a Comment