Ethanol Blending Roadmap: ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવા તરફની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકારે E22, E25, E27 અને E30 પેટ્રોલ મિશ્રણો પર એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. સરકારનો આ નિર્ણય ભારતના ઇથેનોલ રોડમેપને આગામી સ્તર પર લઈ જવાનો સ્પષ્ટ સંકેત છે. આ ટેક્સ રાહત પાછળનો હેતુ ગ્રીન ફ્યુઅલના વપરાશને વેગ આપવાનો છે, પરંતુ આ જાહેરાત પછી સામાન્ય વાહન ચાલકોના મનમાં અનેક સવાલો ઊભા થયા છે. જેમ કે, આ ઇંધણ ક્યારે મળશે? શું તે વાહનોમાં સલામતીપૂર્વક વાપરી શકાશે? ગ્રાહકોને ખરેખર કોઈ આર્થિક ફાયદો થશે કે નહીં? ચાલો આ સવાલના જવાબો જાણીએ.
ભારતમાં હાલની ઇંધણ ઉપલબ્ધતા શું છે?
હાલ દેશના મોટા ભાગના પેટ્રોલ પંપ પર E20 ઇંધણ (જેમાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ હોય છે) ઉપલબ્ધ છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંચાલિત પંપ પર આ બળતણ સામાન્ય બની ગયું છે અને ગ્રાહકો તેનો રોજિંદો ઉપયોગ કરી રહ્યા છે.
જો નવી શ્રેણીના ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E22, E25, E27 અને E30 ની વાત કરીએ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને સરકાર તરફથી તેમને સત્તાવાર મંજૂરી ચોક્કસ મળી ગઈ છે, પરંતુ તે હજુ સામાન્ય પેટ્રોલ પંપ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ ધોરણો ભવિષ્યના બજારને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. શરૂઆતમાં આ ઉચ્ચ મિશ્રણવાળું ફ્યૂઅલ માત્ર ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો (Flex-Fuel Vehicles – FFVs) માટે અને કેટલાક પસંદગીના પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ જ ઉપલબ્ધ કરાવાશે. ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો એટલે એવા વાહનો, જે એક કરતા વધુ પ્રકારના ઇંધણ અથવા તો ઇંધણના મિશ્રણ પર સરળતાથી ચાલી શકે છે. ‘ફ્લેક્સ’ શબ્દ ‘ફ્લેક્સિબિલિટી’ પરથી આવ્યો છે.
સૌથી મોટો પડકારઃ વાહનની સુસંગતતા (Compatibility)
વર્ષ 2023-24 થી ભારતમાં વેચાયેલી મોટા ભાગની નવી પેટ્રોલ કાર અને ટુ-વ્હીલર્સને E20 ઇંધણ પર ચાલવા માટે એન્જિનિયર્ડ અથવા રિકેલિબ્રેટ કરાયા છે, પરંતુ તેનાથી વધુ ઇથેનોલ ધરાવતા ફ્યુઅલ (E22 થી E30) વાહનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
1. એન્જિન પર અસર: ઇથેનોલ રાસાયણિક દ્રષ્ટિએ હાઇગ્રોસ્કોપિક (Hygroscopic) છે, એટલે કે તે હવામાંથી ભેજ/પાણીને ઝડપથી શોષી લે છે. આ પાણી અને ઇથેનોલનું મિશ્રણ એન્જિનની અંદર ભારે નુકસાન કરે છે.
– પ્લાસ્ટિક અને રબરના પાર્ટ્સ: ફ્યુઅલ લાઇન (ફ્યૂઅલ પાઇપો) અને સીલિંગ માટે વપરાતા રબર અને પ્લાસ્ટિકના ભાગો ઉચ્ચ ઇથેનોલના કારણે કડક થઈને તૂટી જાય છે અથવા ઓગળવા લાગે છે, જેનાથી ફ્યૂઅલ લિકેજનો ખતરો રહે છે.
– ધાતુ પર કાટ: એન્જિનની અંદર એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંકના બનેલા ભાગોમાં સામાન્ય પેટ્રોલની સરખામણીએ ખૂબ જ ઝડપથી કાટ લાગવા માંડે છે, જે આખા એન્જિન બ્લોકને નકામો કરી શકે છે.
2. માઇલેજમાં ઘટાડો: શુદ્ધ પેટ્રોલની તુલનામાં ઇથેનોલમાં ઊર્જાનું પ્રમાણ ઓછું હોય છે. ઇથેનોલની એનર્જી ડેન્સિટી પેટ્રોલ કરતાં લગભગ 33% ઓછી હોય છે. તેથી એન્જિનમાં જેટલું ઇથેનોલ વધારે ભળે તેટલી જ સરખા પ્રમાણના ઇંધણમાંથી ઓછી ઊર્જા પેદા થાય છે. પરિણામે એન્જિનને એટલો જ પાવર જનરેટ કરવા માટે વધારે ઇંધણ વાપરવું પડશે, જેને કારણે માઇલેજ ઘટશે. ઓટોમોબાઈલ નિષ્ણાતો અને વિવિધ ટેસ્ટના ડેટા દર્શાવે છે કે, E10 થી E20 પર શિફ્ટ થતાં માઇલેજમાં અંદાજે 6% થી 7% નો ઘટાડો જોવા મળ્યો છે. જો ભવિષ્યમાં E30 ફ્યૂઅલ વપરાય, તો સામાન્ય વાહનોમાં માઇલેજ 10% થી 12% જેટલું ઘટી શકે છે.
3. એન્જિન વોરંટી રદ થવાનું જોખમ: ભારતીય રસ્તા પર દોડી રહેલા લાખો વાહનો (જે પાંચ વર્ષથી પણ ઓછા જૂના છે) આ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ માટે તૈયાર નથી. જો ગ્રાહકો પોતાના સામાન્ય વાહનમાં E22 કે E30 ફ્યૂઅલનો ઉપયોગ કરે અને એન્જિનમાં કોઈ ખામી સર્જાય, તો વાહન ઉત્પાદક કંપનીઓ તેની વોરંટી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી શકે છે.
ઓટોમોબાઈલ કંપનીઓ મેન્યુઅલમાં સ્પષ્ટ લખે છે કે વાહન કયા ફ્યૂઅલ (જેમ કે માત્ર E20) માટે પ્રમાણિત છે. જો લેબોરેટરી ટેસ્ટમાં સાબિત થાય કે એન્જિન વધુ ઇથેનોલવાળા બળતણને કારણે બગડ્યું છે, તો રિપેરિંગનો લાખો રૂપિયાનો ખર્ચ ગ્રાહકે પોતે ભોગવવો પડશે. ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો માટે જ ઉચ્ચ-ઇથેનોલ ઇંધણનો ઉપયોગ કરવું હિતાવહ છે.
ઇથેનોલ ઊંચું ઓક્ટેન રેટિંગ આપશે
ઇથેનોલ મિશ્રણની માત્ર નકારાત્મક અસરો જ છે એવું નથી, તેની એક સકારાત્મક ટેકનિકલ બાજુ પણ છે. ઇથેનોલનું કુદરતી ઓક્ટેન રેટિંગ (Octane Rating) ખૂબ ઊંચું હોય છે. તેનો અર્થ એ થાય કે જ્યારે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધે છે, ત્યારે ઇંધણની ગુણવત્તા સુધરે છે. આ ઉચ્ચ ઓક્ટેન ફ્યૂઅલના કારણે એન્જિનમાં ‘નોકિંગ’ (Knocking- અંદરનો અવાજ કે ધ્રુજારી) ઘટી જાય છે અને વાહનનું પિક-અપ તથા ઓવરઓલ પરફોર્મન્સ વધુ સ્મૂધ બને છે. જો એન્જિન આ ફ્યૂઅલ માટે ખાસ ડિઝાઇન કરેલું હોય તો વાહન ચલાવવાનો અનુભવ ઘણો સારો રહે છે.
ટેક્સ ઘટાડાથી ગ્રાહકોને ફાયદો થશે?
સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં જે કાપ મૂકાયો છે, તેનાથી દેશને લાંબા ગાળાના ફાયદા ચોક્કસ થશે, પરંતુ સામાન્ય ગ્રાહકોને તેના તાત્કાલિક ફાયદા નહીં મળે.
1. દેશના અર્થતંત્રને લાભ: વિદેશથી મોંઘા ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, જેનાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચશે.
2. ખેડૂતોને ફાયદો: સ્થાનિક સ્તરે ઇથેનોલ શેરડી અને અનાજમાંથી બને છે, જેથી કૃષિ ક્ષેત્રમાં રોજગારી અને આવકની નવી તકો ઊભી થશે.
3. પર્યાવરણની સુરક્ષા: પરિવહન ક્ષેત્રમાંથી નીકળતા અશ્મિભૂત-કાર્બન (Fossil Carbon) ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે.
ગ્રાહકો પર વાસ્તવિક અસર
નજીકના ભવિષ્યમાં સામાન્ય વાહનમાલિકોના ખિસ્સા પર આ ટેક્સ ઘટાડાની કોઈ સીધી અસર જોવા નહીં મળે. જ્યાં સુધી E22-E30 ઇંધણ દરેક પેટ્રોલ પંપ સુધી વ્યાપકપણે પહોંચે નહીં અને બજારમાં તેની સુસંગતતાવાળા વાહનો સામાન્ય ન બને, ત્યાં સુધી આ ટેક્સ રાહતનો વાસ્તવિક ફાયદો સામાન્ય જનતાને બદલે માત્ર ઇંધણ સપ્લાયર્સ, ઇથેનોલ ઉત્પાદકો અને દેશના ઊર્જા બિલને જ મળશે. ગ્રાહકો માટે અત્યારે E20 ફ્યુઅલ જ સુરક્ષિત વિકલ્પ છે.


Leave a Comment