S Jaishankar And Marco Rubio Controversy On Indian Ship Attacks : ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત બાદ ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હોવાની વિગતો સામે આવી છે. આ ગંભીર ઘટના અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ફોન પર ઉગ્ર ચર્ચા થઈ છે, જેમાં અમેરિકાએ આક્રમક અને નકારાત્મક વલણ અપનાવ્યું છે.
સામાન્ય જહાજ પર અમેરિકાનો હુમલો અને જાનહાનિ
પલાઉ દેશનો ધ્વજ ધરાવતું એમટી સેટેબેલ્લો નામનું એક કોમર્શિયલ જહાજ ઓમાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું, જેમાં 24 ભારતીય નાવિકો સવાર હતા. આ કોઈ યુદ્ધજહાજ ન હોવા છતાં અમેરિકી નૌસેનાએ તેને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. હુમલા બાદ 21 નાવિકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા, પરંતુ ગુમ થયેલા અન્ય ત્રણ ભારતીય નાવિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
ફોન પર જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા
આ ઘટનાના વિરોધમાં શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરીને ભારતનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જયશંકરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો પર આવી જીવલેણ સૈન્ય કાર્યવાહી ક્યારેય સ્વીકારી શકાય નહીં. જોકે, શનિવારે અમેરિકી વિદેશ મંત્રી રુબિયોએ વળતો ફોન કરીને તોછડું વર્તન દાખવ્યું હતું અને કહ્યું કે, હોર્મુઝ જળમાર્ગ પર તેમની નાકાબંધીનું ઉલ્લંઘન અમેરિકા સહન નહીં કરે. આ વાત અમેરિકી સીધી દાદાગીરી જેવી દેખાઈ રહી છે.
આ પણ વાંચો : 3 ભારતીયોનો ભોગ તમે લીધો અને આરોપ અમારા પર લગાવો છો?, અમેરિકા પર ભડક્યું ઈરાન
ભારતે અમેરિકી રાજદૂતને તેડાવ્યા
ભારતે આ હુમલાને સંપૂર્ણપણે ગેરવાજબી ગણાવીને તાત્કાલીક નવી દિલ્હીમાં હાજર અમેરિકાના કાર્યવાહક રાજદૂતને વિદેશ મંત્રાલયમાં બોલાવીને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર આવા હુમલા તાત્કાલિક રોકવા જોઈએ અને આ વિસ્તારમાં માત્ર શાંતિપૂર્ણ કૂટનીતિથી જ ઉકેલ લાવવો જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પનો વાહિયાત દાવો
આ સમગ્ર હિંસક ઘટના વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાસ્તવિકતા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઊલટાનું ઈરાન પર જ ભારતીય જહાજોને નિશાન બનાવવાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે, ઈરાન દ્વારા ભારતીય જહાજો પર કરાયેલા ડ્રોન હુમલા અસ્વીકાર્ય છે અને તેમણે પોતાની હરકતો સુધારવી જોઈએ, જેને ભારતે નકારી કાઢ્યો છે કારણ કે આ હુમલો ખુદ અમેરિકી સેનાએ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ


Leave a Comment