India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20 જૂન) કહ્યું કે, ‘પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને આવા નિવેદનો માત્ર અયોગ્ય જ નથી પણ વાસ્તવિકતાથી પણ વંચિત છે.’
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ભારત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારે છે. કોઈપણ સંજોગોમાં તેમને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.’
વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડ પર પણ સવાલ ઉઠાવ્યા
ભારતનો જવાબ ફક્ત આ ટિપ્પણી પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડ પર પણ તીવ્ર સવાલ ઉઠાવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાનનો પોતાનો નબળો માનવાધિકાર રેકોર્ડ કોઈ છુપાયેલી હકીકત નથી, પરંતુ વૈશ્વિક ચર્ચાનો વિષય છે.’
પ્રવક્તાએ કહ્યું, ‘પાકિસ્તાનના માનવાધિકાર રેકોર્ડની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણીઓ ખાસ કરીને હાસ્યાસ્પદ છે, જેની સમગ્ર વિશ્વમાં વ્યાપક ચર્ચા થઈ છે. વિવિધ ધર્મોના લઘુમતીઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવા અને તેમના પર અત્યાચાર કરવાનો પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ જાણીતો છે.’
ભારતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાની રાષ્ટ્રપતિની ટિપ્પણીને ફક્ત રાજકીય હુમલા તરીકે જ જોઈ શકાય છે. આ નિવેદન પાકિસ્તાનની નીતિઓને પ્રતિબિંબિત કરે છે, જે લાંબા સમયથી ઉગ્રવાદ અને નફરતને પ્રોત્સાહન આપી રહી છે. પાકિસ્તાનની કટ્ટરતા અને નફરત પર આધારિત રાષ્ટ્રીય નીતિઓથી પ્રેરિત છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ શું કહ્યું?
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આરોપ લગાવ્યો કે, ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી. ભારતમાં ઐતિહાસિક મુસ્લિમ ધાર્મિક સ્થળો જોખમમાં છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ સારી નથી. જોકે, એવું લાગે છે કે, ઝરદારીએ આ નિવેદન આપતા પહેલા ડેટાનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો ન હતો. વધુમાં તેમણે અનેક પાયાવિહોણા નિવેદનો આપ્યા હતા.



Leave a Comment