સીબીઆઈ દ્વારા સતત બે દિવસથી પૂછપરછ
પૂછપરછ દરમિયાન ગિરિબાલા સિંહની તબિયત બગડી અને ગભરામણની ફરિયાદ કરતા સારવાર અપાઈ
ભોપાલ: મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માનાં મોતનાં કેસમાં સીબીઆઇએ પોતાની તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. કોર્ટ પાસેથી રિમાન્ડ મળ્યા પછી એજન્સી સતત ટ્વિશાનાં પતિ સમર્થ સિંહ, સાસ અને પૂર્વ જિલ્લા અને સેશન્સ જજ ગિરિબાલા સિંહની ઉંડી પૂછપરછ કરી રહી છે.
શનિવાર રાત અને રવિવાર સવારે સમર્થ સિંહ અને ગિરિબાલા સિંહની સતત પૂછપરછ કરવામાં આવી હતી. લગ્ન પછી સંબધોમાં આવેલ તંગદિલી, કૌટુંબિક વિવાદો અને ઘટનાની રાતને ધ્યાનમાં રાખી પૂછપરછ કરવામાં આવી હતી.
બંને સાથે ત્રણ-ત્રણ કલાક પૂછપરછ થઇ રહી છે. લાંબી પૂછપરછ દરમિયાન ૬૩ વર્ષીય ગિરિબાલા સિંહની તબિયત બગડી હતી અને તેમણે સીબીઆઇ અધિકારીઓને ગભરામણ થવાની ફરિયાદ કરી હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન સીબીઆઇ અધિકારીઓએ સમર્થ સિંહને લગ્ન જીવનમાં વધતી તિરાડ અને વિવાદો અંગે પણ પ્રશ્રો પૂછ્યા હતાં. શરૂઆતમાં સમર્થે પતિ-પત્ની વચ્ચે થતા સામાન્ય ઝઘડાનો સંદર્ભ આપી સ્થિતિને સામાન્ય દર્શાવવાનો પ્રયત્નો કર્યા હતાં.
જો કે જ્યારે અધિકારીઓએ સમર્થને પૂછ્યું કે ૨૨ એપ્રિલે એવું શું થયું હતું કે ટ્વિશાની માતા, ભાઇ અને મામાનાં દીકરાએ ભોપાલ આવીને તને સમજાવવો પડયો હતો. તો તેના અંગે સમર્થે કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
સીબીઆઇનું માનવું છે કે લગ્નનાં થોડાક જ મહિનાઓમાં સંબધોમાં આવેલી ગંભીર તિરાડ અને વિવાદોનું કારણ સામે આવવું તપાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે. એજન્સીએ મારપીટ અને કૌટુંબિક વિવાદ અંગે પણ અનેક પ્રશ્રો પૂછ્યા હતાં પણ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સમર્થે આ પ્રશ્રોનાં સીધા જવાબ આપવાને બદલે ગોળગોળ જવાબ આપ્યા હતાં. સીબીઆઇની ટીમે ગિરિબાલા સિંહ સાથે ઘટનાની રાતે એ ૪૦ મિનિટ અંગે વિસ્તારથી પ્રશ્રો કર્યા હતાં. ઉલ્લેખનીય છે આ ૪૦ મિનિટને તપાસનો મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે. એફઆઇઆર અનુસાર મોતની રાતે ૯.૪૦ વાગ્યા સુધી ટ્વિશાએ પોતાની માતાનાં ઘરે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ ૪૦ મિનિટ પછી ૧૦.૨૦ વાગ્યે ગિરિબાલા સિંહે ટ્વિશાનાં મમ્મીનાં ઘરે ટ્વિશાનાં મોતનાં સમાચાર આપ્યા હતાં.


Leave a Comment