Blaming God Fails, Accountability Prevails: શિમલાના ઢલ્લી નજીક ભૂસ્ખલનને કારણે જમીન અને સફરજનના વૃક્ષોને થયેલા નુકસાનને ‘એક્ટ ઓફ ગોડ’ એટલે કે કુદરતી આફત ગણાવ્યાના એક અઠવાડિયા બાદ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ તેનું વલણ બદલ્યું છે. સત્તાવાર અહેવાલો અનુસાર, NHAI હવે આ વળતર તરીકે સફરજનની વાડીના માલિકને ₹1.80 કરોડ ચૂકવવા સંમત થયું છે.
આશરે સફરજનના 440 વૃક્ષોના નુકસાનના વળતર માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ કરનારા નરેન્દ્ર સિંહ રાઠોડે બુધવારે ને જણાવ્યું કે, NHAI દ્વારા ₹1.80 કરોડનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવ્યા બાદ મેં આ કેસ પાછો ખેંચી લીધો છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ વિસ્તારમાં મે 2025માં ભારે વરસાદ દરમિયાન NHAI ના ફોર-લેન પ્રોજેક્ટને કારણે થયેલા કથિત ભૂસ્ખલનથી રાઠોડના સફરજનના બગીચાને ભારે નુકસાન થયું હતું. આ અંગે સફરજનની વાડીના માલિકે વળતર માંગ્યું હતું, પરંતુ 19 મે 2026 ના રોજ એક એફિડેવિટમાં NHAIએ આ નુકસાનને ‘એક્ટ ઓફ ગોડ’ ગણાવીને પોતાની કોઈ પણ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) અને બાગાયત વિભાગ (Horticulture Department) દ્વારા કરાયેલા મૂલ્યાંકન બાદ, ઓથોરિટી આ વાડીના માલિકને પરિવારને યોગ્ય વળતર આપવા રાજી થઈ છે.
આ વળતર હેઠળ, NHAI કાટમાળના કારણે ગંભીર રીતે નુકસાન પામેલી રાઠોડની 1.5 વીઘા જમીન ખરીદશે, તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા આશરે 440 સફરજનના વૃક્ષોનું વળતર પણ ચૂકવશે.
કુદરતે ત્યારે જ કેમ પ્રકોપ કર્યો, જ્યારે પહાડો કપાવા લાગ્યા?
આ વાડીના માલિક નરેન્દ્ર સિંહ રાઠોડે કટાક્ષ કરતા કહ્યું કે, ‘અમારો પરિવાર પેઢીઓથી અહીં રહે છે અને ફળોની ખેતી કરે છે, પરંતુ ભગવાને (કુદરતે) ત્યારે જ પ્રકોપ કર્યો જ્યારે NHAI એ નેશનલ હાઈ-વે, ટનલ અને ફોર-લેન બનાવવા પહાડોને 90 ડિગ્રીના ખૂણે કાપવાનું શરૂ કર્યું.’
આંકડાકીય વિરોધાભાસ પણ ઉડીને આંખે વળગ્યો
સફરજનના વૃક્ષોના નુકસાન પેટે બાગાયત વિભાગે ₹40 લાખનું કુલ મૂલ્યાંકન કર્યું હતું. બીજી તરફ, સ્વતંત્ર સાઇટ વિઝિટ બાદ NHAI એ દાવો કર્યો હતો કે વાસ્તવમાં માત્ર 40 સફરજનના વૃક્ષોને જ નુકસાન થયું હતું. જો કે, એ દરમિયાન મુશળધાર વરસાદ થયો હતો અને પુરાવારૂપે હવામાન વિભાગની આગાહી પણ હતી. હવામાન વિભાગના મે 2025 ના અહેવાલ મુજબ, આ સમીક્ષા હેઠળના સમયગાળામાં શિમલામાં સામાન્ય 69.8 મિ.મી. સામે 104.5 મિ.મી. જેવો રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો.
નોંધનીય છે કે, NHAI એ અગાઉ આ આંકડા ટાંકીને ભૂસ્ખલનને અસાધારણ કુદરતી ઘટના ગણાવી હતી. તેમની દલીલ હતી કે આ બાબત તેમના નિયંત્રણ બહાર હતી. જો કે, આખરે ઓથોરિટીએ ખેડૂતને વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.


Leave a Comment