Rahul Gandhi On Cuet Exam : દેશભરની યુનિવર્સિટીઓના અંડરગ્રેજ્યુએટ (સ્નાતક) કોર્સમાં પ્રવેશ માટે શનિવારે યોજાયેલી CUET-UG 2026 પરીક્ષા કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ થઈ હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની આ ક્ષતિને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર દેશની શિક્ષણ વ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, વિશ્વગુરુ બનવાના મોટા-મોટા દાવા કરનારી સરકાર એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજવા માટે સક્ષમ નથી.
PM મોદી પર સાધ્યું નિશાન
કોંગ્રેસ નેતાએ ‘X’ પર લખ્યું કે, NEET, CBSE, SSC અને આજે CUET, ચાર પરીક્ષાઓ, કરોડો બાળકો, એક પણ પરીક્ષા પ્રામાણિકતાથી પૂરી થઈ શકી નથી. સરકાર પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દેશમાં એક પણ પરીક્ષા યોગ્ય રીતે યોજાઈ શકતી નથી અને બીજી તરફ ‘વિશ્વગુરુ’ બનવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ આખી શિક્ષણ વ્યવસ્થાને તબાહ કરી દીધી છે. જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કરી રહ્યા છો, એ જ પેઢી એક દિવસ તમારી પાસે હિસાબ માંગશે.’ આ પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે પણ કહ્યું હતું કે, CBSE પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ પર વડાપ્રધાનનું મૌન અને શિક્ષણ મંત્રી સામે કોઈ પગલાં ન લેવાવા એ દર્શાવે છે કે, તેમને માત્ર પોતાની સરકાર બચાવવાની ચિંતા છે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની નહીં.
અગાઉ પણ કર્યા હતા રાજકીય પ્રહારો
આ પૂર્વે રાહુલ ગાંધીએ NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં પેપર લીકની ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, NEETના વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે, ભારતનો યુવા હવે નરેન્દ્ર મોદી પર ભરોસો નથી કરતો. રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, ‘વિદ્યાર્થીઓએ મને કહ્યુ કે પેપર વોટ્સએપ અને ટેલિગ્રામ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. કઈ કિંમતે વેચાય છે, કોણ ખરીદે છે, માફિયાઓ કેવી રીતે કામ કરે છે, આ બધું આ બાળકો જાણે છે. તેમનો એક જ સવાલ હતો કે, જે અમને ખબર છે, તે સરકાર અને સંસ્થાઓને કેમ ખબર નથી? સાચું તો એ છે કે આ બાળકો સરકાર કરતાં વધુ સારી રીતે જાણે છે કે આ સડેલી વ્યવસ્થાને કેવી રીતે સુધારી શકાય.’
રાહુલના રણકાર પર ભાજપનો પલટવાર
CUET અને શિક્ષણ વ્યવસ્થા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીએ કરેલા પ્રહારો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ વળતો પ્રહાર કર્યો છે. ભાજપનું કહેવું છે કે, લોકસભામાં વિપક્ષના નેતાએ પોતાની જવાબદારી નિભાવવાને બદલે સનસનાટી ફેલાવવાનો રસ્તો પસંદ કર્યો છે. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દા પર માત્ર રાજકારણ રમી રહ્યા છે.
ગજેન્દ્ર સિંહ શેખાવત: આવા નિવેદનો બિનજવાબદાર છે
કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાહુલ ગાંધીના નિવેદનને ‘વાહિયાત’ ગણાવ્યું છે. તેમણે ‘X’ પર લખ્યું, ‘રાહુલ ગાંધીના આવા નિવેદનો દર્શાવે છે કે તેઓ દેશના યુવાનો સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓને કેટલી અપરિપક્વતા અને બિનજવાબદારીથી જુએ છે. વિપક્ષના નેતા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તથ્યોના આધારે વાત કરે, નહીં કે માત્ર રાજકીય હેડલાઇન્સ મેળવવા માટે સનસનાટીભર્યા આરોપો લગાવે. આવા નિવેદનો લોકશાહીને મજબૂત નથી કરતા, પરંતુ જનતાનો ભરોસો નબળો પાડે છે અને લાખો વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારોની વાસ્તવિક ચિંતાઓને હળવાશથી રજૂ કરે છે’.
અમિત માલવિયા: એટલે જ તેમને કોઈ ગંભીરતાથી નથી લેતું
ભાજપના નેતા અમિત માલવિયાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું, ‘એવું કહેવું કે વડાપ્રધાન મોદીએ NEET પેપર લીકની વ્યક્તિગત દેખરેખ રાખી હતી, તે સંપૂર્ણપણે વાહિયાત, ચોંકાવનારો અને તર્ક વગરનો દાવો છે.’ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર રાહુલ ગાંધીને ગંભીરતાથી ન લેવાનું મુખ્ય કારણ આ જ છે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વારંવાર સાબિત કરે છે કે ગંભીર બાબતોને હેન્ડલ કરવા માટે જે પરિપક્વતા અને ગંભીરતા હોવી જોઈએ તે તેમનામાં નથી. વિદ્યાર્થીઓની પડખે ઊભા રહેવા અને રચનાત્મક સૂચનો આપવાને બદલે તેમણે ફરી એકવાર સનસનાટી ફેલાવવાનો ટૂંકો રસ્તો પસંદ કર્યો છે’.
સુધાંશુ ત્રિવેદીએ પણ કર્યા પ્રહાર
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ રાહુલ ગાંધીની બોલતી બંધ કરવાનો પ્રયાસ કરતા કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે પહેલા તેઓ ‘ઇશ્યુ’ (મુદ્દો) સમજી શકતા નહોતા અને હવે તેઓ ‘ઇશ્યુ’ શબ્દ વાંચી પણ શકતા નથી. ત્રિવેદીએ ‘X’ પર લખ્યું કે, ‘રાહુલ ગાંધી માત્ર ‘પેપર લીક’ વાંચે છે, ‘ઇશ્યુ’ શબ્દ વાંચતા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ પૂરી બાબત સમજ્યા વગર જ નિવેદનોબાજી કરી રહ્યા છે.’
વિવાદ કેમ વધ્યો?
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEET સંબંધિત મુદ્દાઓ અને તપાસની પ્રગતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકારની આ જ ટિપ્પણીને આધાર બનાવીને કટાક્ષ કર્યો હતો કે, ‘જો વડાપ્રધાન તપાસની દેખરેખ રાખી રહ્યા છે, તો શું તેમણે પેપર લીકની પણ દેખરેખ રાખી હતી?’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપે તેને સસ્તું રાજકારણ ગણાવીને આકરો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર વગર કારણે સનસનાટી ફેલાવવી યોગ્ય નથી.
હાલ શું સ્થિતિ છે?
હાલમાં NEET-UG પેપર લીક કેસની તપાસ સીબીઆઈ (CBI) કરી રહી છે, અને આ મામલો સુપ્રીમ કોર્ટની સુનાવણી હેઠળ પણ છે. તો બીજી તરફ, આ મુદ્દે રાજકીય નિવેદનબાજી અને આરોપ-પ્રત્યારોપ પણ તેજ થઈ ગયા છે. કોંગ્રેસ સરકાર પાસે આ મામલે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહી છે, જ્યારે ભાજપનું કહેવું છે કે વિપક્ષને વિદ્યાર્થીઓની ચિંતા કરતાં રાજકારણ ચમકાવવામાં વધુ રસ છે.


Leave a Comment