Lok Sabha Seats : ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં મોટું ભંગાણ પડવું હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકસભાનું આખું રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે અને NDAમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)નો પાવર વઘવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ગુરુવારે યોજાયેલી સંસદીય દળની બેઠકમાં પાર્ટીના 6 સાંસદો ગેરહાજર રહેતા આ વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલા આ રાજકીય મોરચાનું કેન્દ્ર હવે દિલ્હી બન્યું છે, જેનો સીધો ફાયદો ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને મળી શકે છે.
લોકસભામાં NDAની તાકાત વધશે
લોકસભામાં 293 સાંસદોના સમર્થન વાળી સત્તાધારી NDAનો આંકડો તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોની મદદ બાદ 300ને પાર પહોંચી શકે છે. તેવામાં જો શિવસેના યુબીટીમાં 6 સાંસદો પક્ષ પલટો કરશે, તો તેનો સીધો ફાયદો એનડીએ ગઠબંધનને મળશે, કારણ કે આ લોકસભા સભ્યો શિંદેની શિવસેનાને સમર્થન આપવાની યોજના બનાવી રહ્યા છે.
શિંદેનો પાવર વધશે
વર્ષ 2022માં જ્યારે શિંદેએ બળવો કર્યો ત્યારે ભાજપ સાથે સરકાર બનાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે 2024ની વિધાનસભા ચૂંટણી પછી સમીકરણો બદલાયા અને દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા, જ્યારે શિંદેએ ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. તે ચૂંટણીમાં ભાજપને 132 અને શિવસેનાને 57 બેઠકો મળી હતી. ત્યારબાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 42 બેઠકો ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ અને શિવસેના યુબીટી બંને 9-9 બેઠકો પર સમેટાઈ ગયા હતા, જ્યારે શિંદેની પાર્ટીને 7 બેઠકો મળી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા
NDA ગઠબંધનમાં બદલાશે સમીકરણો
હવે જો ઉદ્ધવ જૂથના 6 સાંસદો તૂટીને શિવસેનામાં જોડાશે, તો શિંદેની પાર્ટીની સંખ્યા વધીને 13 પર પહોંચી જશે અને કેન્દ્રમાં NDA સરકારની અંદર પણ તેમની સ્થિતિ ખૂબ મજબૂત થશે. હાલમાં સત્તાધારી ગઠબંધનમાં 240 સાંસદો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી છે. જ્યારે બીજા સ્થાને NCP હોઈ શકે છે, જે તૃણમૂલ કોંગ્રેસના સમર્થનથી 20 સાંસદો સુધી પહોંચી છે. ગઠબંધનમાં ત્રીજા સ્થાને તેલુગુ દેશમ પાર્ટી (TDP) છે, પરંતુ જો શિંદેની પાર્ટી પાસે 13 સાંસદોનું સમર્થન આવી જશે, તો તેઓ NDAમાં ચોથા નંબરની સૌથી મોટી પાર્ટી બની જશે અને કેન્દ્ર સરકારમાં તેમનું વજન વધશે.
રાજકારણ પર કેવી અસર થશે
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આ ઘટનાથી તાત્કાલિક મોટું નુકસાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને જ થવાનું છે, પરંતુ તેની વ્યાપક રાજકીય અસર અન્ય જગ્યાએ જોવા મળશે. જો સંસદમાં શિંદેના સાંસદોની સંખ્યા વધશે, તો પ્રદેશ ભાજપ તેમને એ નજરે નહીં જોઈ શકે જે રીતે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જોતી હતી. શિવસેનાના એક નેતાના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ શક્તિશાળી બનીને ઉભર્યા પછી લોકોએ શિંદેની રાજનીતિને નબળી માની લીધી હતી, પરંતુ શિંદેએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જ્યારે રમત પૂરી થઈ ગઈ હોય તેવું લાગે, ત્યારે જ તેઓ આખો ખેલ બદલવાનો માસ્ટરસ્ટ્રોક રમી જાણે છે.
આ પણ વાંચો : મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય!


Leave a Comment