મૃત પશુઓના નિકાલથી ભારે દુર્ગંધઃ રહીશો હેરાન-પરેશાન : કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સળગાવી દેવાતો હોવાનો આક્ષેપ : તંત્ર દ્વારા જવાબદારી ખંખેરવા પ્રયાસ
મોરબી, : મોરબી મહાનગરપાલિકાની લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે. કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાને બદલે આગ લગાવી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. કચરો સળગતા બેફામ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. પરિણામે રહીશો હેરાન થઇ રહ્યા છે.
મોરબીના લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર અનેક દિવસોથી કચરો સળગી રહ્યો છે. સાઇટ પર વૈજ્ઞાાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, અને સળગાવી દેવામાં આવે છે. તેમજ મૃત પશુઓના નિકાલ અહી કરવામાં આવતા હોવાથી બેફામ દુર્ગંધ ફેલાય છે. કચરો સળગાવતા હવામાં પ્રદુષણ ફેલાય છે. જેથી આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારોના રહીશો હેરાનગતિ ભોગવી રહ્યા છે. કોઇ ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે તો જીપીસીબી ટીમ તુરંત દોડી જઈને દંડ અને ક્લોઝર નોટિસ જેવી કામગીરી કરતી હોય છે. પરંતુ અહી મહાપાલિકા તંત્રની જવાબદારી આવે છે, ત્યારે જીપીસીબી ટીમ પણ પ્રદુષણ સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીને લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ બાબતે પૂછતા જણાવ્યું હતું કે નાગરિકો કચરો ફેકે ત્યારે આગ લાગેલી હોય અને એ કચરો ટ્રેક્ટરમાં સળગતો રહે છે, તેનો સાઈટ પર નિકાલ થતા આગ લાગી જતી હોય છે. ફાયર ટીમને આગ પર કાબુ મેળવવા સુચના આપી છે,અને બે દિવસથી કામગીરી ચાલુ છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે.


Leave a Comment