Gujarat Police 2 Hours Public Grievance Meet: રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો માટે ગાંધીનગર સ્થિત વડી કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે હેતુથી ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકે આદેશ જાહેર કર્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય માત્ર મુલાકાતીઓ અને અરજદારોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે. ખાખી વર્દીની છબી સુધારવા અને પોલીસને સાચા અર્થમાં પ્રજાનો મિત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક સ્તરે જ ફરિયાદોનો ઝડપી અને પારદર્શી નિકાલ શક્ય બનશે.
બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત કચેરીમાં લોકફરિયાદ સાંભળવી પડશે
નવા આદેશ અનુસાર તમામ ઉચ્ચ અને સ્થાનિક અધિકારીઓ માટે ચોક્કસ સમયપત્રક નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા તેમજ DCP અને ACP કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12 થી 2 વાગ્યા સુધી ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડરે અરજદારોની રજૂઆતો સ્વીકારીને તેને પ્રાથમિકતા આપવાની રહેશે. બીજી તરફ, પોલીસ સ્ટેશન સ્તરે PI અને થાણા અમલદારો માટે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે, જેથી શ્રમિક કે નોકરિયાત વર્ગ પણ સરળતાથી પોતાની રજૂઆત કરી શકે.
અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા
DGP દ્વારા અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ સામાન્ય અરજીઓનો મહત્તમ 15 દિવસમાં જ નિકાલ કરવાનો રહેશે. જો કે, આર્થિક ગુનાઓ, વૈવાહિક-પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત જટિલ ફરિયાદોના નિરાકરણ માટે વધુમાં વધુ 6 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
જરૂર જણાય ત્યાં FIR નોંધવા આદેશ
આ વહીવટી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે દરેક કચેરીમાં અરજદારોની વિગતો સાથેનું એક વિશેષ રજિસ્ટર રાખવાનું રહેશે. આ ઉપરાંત, પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ સંજ્ઞેય ગુનો બનતો જણાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધી કાયદેસરની તટસ્થ કાર્યવાહી શરૂ કરવા માટે આદેશ અપાયા છે.


Leave a Comment