અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બનતા તંત્રની ચિંતા વધી છે. તાજેતરના આંકડા મુજબ, માત્ર એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 172 નવા કેસ નોંધાયા છે. ખાસ કરીને સોલા, ગોતા અને વસંતનગર ટાઉનશિપ જેવા વિસ્તારોમાં રોગચાળો વધુ વકર્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક યોજી હતી અને આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી.
બાંધકામ સાઇટ પર મચ્છરનું બ્રીડિંગ મળ્યું તો 7 દિવસ સીલ
મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે કમિશનરે કડક સૂચના આપી છે. તપાસ દરમિયાન કોઈ બાંધકામ સાઇટ પર મચ્છરનું બ્રીડિંગ મળી આવશે તો તેને તાત્કાલિક 7 દિવસ માટે સીલ કરવામાં આવશે. વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પરથી મચ્છરનું બ્રીડિંગ મળવાના કિસ્સામાં સંબંધિત કર્મચારીને આખા પગારનો દંડ અને જવાબદાર એજન્સીને 10,000 રૂપિયાની પેનલ્ટી ફટકારવાની ચેતવણી આપવામાં આવી છે.
ખાનગી હોસ્પિટલોને સાચા આંકડા આપવા તાકીદ
રોગચાળાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ખાનગી હોસ્પિટલો પાસેથી મળતા ડેટા અંગે પણ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. બેઠકમાં સામે આવ્યું કે ઘણી ખાનગી હોસ્પિટલો નિયમિત રીતે રોગચાળાના આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલતી નથી. હાલમાં માત્ર 155 હોસ્પિટલો જ રિપોર્ટ મોકલી રહી છે. જેથી રિપોર્ટ ન આપતી હોસ્પિટલોને નોટિસ આપી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
નારણપુરાના સ્વચ્છતા એવોર્ડ પર કમિશનરનો તીખો કટાક્ષ
રિવ્યુ બેઠક દરમિયાન સ્વચ્છતા અભિયાન હેઠળની સ્પર્ધામાં નારણપુરા વોર્ડને શહેરનો સૌથી સ્વચ્છ વોર્ડ જાહેર કરી એવોર્ડ અપાયો હોવાની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે કટાક્ષ કરતાં કહ્યું, “જંગલ મેં મોર નાચા, કિસને દેખા!” તેમણે સવાલ ઉઠાવ્યો કે સ્વચ્છતાના માપદંડો શું હતા અને એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો તેની સ્પષ્ટ વિગતો નથી. કમિશનરે સ્પષ્ટ કર્યું કે માત્ર દેખાડા કે કાગળ પરના પુરસ્કારો કરતાં જમીની સ્તરે વાસ્તવિક સફાઈ કામગીરી પર ભાર મૂકવો જોઈએ.



