વડોદરાઃ વિવિધ સ્થળોએ ફરીને પરત ફરી રહેલા વડોદરાના પ્રવાસીઓની બસ પર મધ્યપ્રદેશમાં પથ્થરમારો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.આ પથ્થરમારામાં ડ્રાઈવર સહિતના બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી વિગતો પ્રમાણે વડોદરાના પ્રવાસીઓ ખાનગી બસ મારફતે ઉજૈજન, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા જેવા સ્થળોની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બુધવારે રાત્રે એક વાગ્યે એક ટોલ બૂથ પાસે ૨૦ થી ૨૫ લોકોના ટોળાએ બસને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.બસના ચાલકને જોકે શંકા જતા તેણે બસ રોકી નહોતી અને ટોળાએ બસ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો.જેના કારણે બસના આગળના કાચ તુટી ગયા હતા.
પ્રવાસીઓએ કહ્યું હતું કે, બસ ડ્રાઈવરે હિંમત રાખીને બસ દોડાવી દીધી હતી અને તેના કારણે અમે બચી ગયા હતા.જો બસ ઉભી રાખી હોત તો તમામ પ્રવાસીઓ લૂંટાઈ ગયા હોત અને કોઈને ગંભીર ઈજા પણ થઈ હોત.અમે આગળ જઈને બસ ઉભી રાખીને પોલીસને જાણ કરી હતી.જોકે દોઢ કલાક બાદ પોલીસ આવી હતી.એ પછી પણ હદના મુદ્દે પોલીસે એક બીજાને ખો આપી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર પણ સમયસર મળી નહોતી.
બસ ચાલકે કહ્યું હતું કે, જે રુટ પર બસ પર પથ્થરમારો થયો છે ત્યાં રાત્રે મુસાફરી કરવી જોખમરુપ છે એટલે ભવિષ્યમાં આ રસ્તેથી મુસાફરી કરવાથી બીજા લોકોએ પણ બચવું જોઈએ.


Leave a Comment