શહેરના નવાપુરાના ગોદડિયાવાસમાં આવેલું એક મકાન વિધર્મીને વેચાણ કરવાની પેરવી થતા મામલો ઉગ્ર બન્યો હતો. બોલાચાલી બાદ મારામારી થતા વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. નવાપુરા પોલીસે આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં ભર્યા છે.
ગોદડિયાવાસમાં રહેતી મહિલાએ નવાપુરા પોલીસ મથકે નોંધાવેલી અરજી મુજબ તેમના ઘરની બાજુમાં રહેતા મકાન માલિક તારચંદ નેનવાગે દ્વારા વિધર્મી વ્યક્તિને મકાન વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવાના કારણે એનઓસી પ્રક્રિયા માટે સ્થાનિકોની સહમતિ જરૂરી છે.
બુધવારે રાત્રે ૯ વાગ્યે ઈરફાન રાજા પઠાણ નામની વ્યક્તિ અશાંતધારા અંતર્ગત એનઓસી માટે સહી કરાવવા દબાણ કરી રહી હતી. સ્થાનિક મહિલાઓ અને સમાજના લોકોએ સહી કરવાનો ઈનકાર કરતાં ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
સ્થાનિકોના કહેવા મુજબ સમાજના લોકોને સહી ન કરવા સમજાવતા એક યુવક પર ૧૦થી ૧૨ શખ્સોના ટોળાએ
હુમલો કર્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે રાહુલ પપ્પનભાઈ ગોદડિયા, વસીમ ઈસ્માઈલ મલેક અને જુનેદ જાફર બાવર્ચી (બંને રહે. મુસ્લિમ મહોલ્લો) સામે અટકાયતી કાર્યવાહી કરી છે.


Leave a Comment