ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં 4-0થી પરાજય મેળવ્યા બાદ, શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ હવે ઝિમ્બાબ્વે પ્રવાસથી નવી શરૂઆત કરવા જઈ રહી છે. આ પ્રવાસમાં યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે, જે ફરી એકવાર ઓપનિંગમાં પોતાનો દમ બતાવવા તૈયાર છે.
વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ-11માં કમબેક કરશે
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવને ત્રણ મેચમાં તક મળી હતી (જેમાં તેણે 15, 13 અને 14 રન કર્યા હતા), પણ બાદમાં તેને સંજુ સેમસન માટે ડ્રોપ કરવામાં આવ્યો હતો. જોકે, ઝિમ્બાબ્વે પ્રવાસ માટે સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું ન હોવાથી, વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ 11માં વાપસી કરશે અને ઓપનિંગમાં બેટિંગ કરતો જોવા મળશે.
હરારે ગ્રાઉન્ડ સાથે વૈભવનો ખાસ સંબંધ
ઝિમ્બાબ્વેનું હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ વૈભવ સૂર્યવંશી માટે ખૂબ જ ખાસ છે. માત્ર 14 વર્ષની ઉંમરે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે તેણે આ જ મેદાન પર માત્ર 80 બોલમાં 175 રનની તોફાની ઈનિંગ રમી હતી. તે ઇનિંગ્સમાં તેણે 15 સિક્સર અને 15 ચોગ્ગા ફટકારીને માત્ર 56 બોલમાં 151 રન બનાવી દીધા હતા.
ફાસ્ટ બોલિંગ અટેકમાં નવા ચહેરાઓને જગ્યા મળી
જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા સિનિયર બોલરોની ગેરહાજરીમાં ભારત આ મેચમાં એકદમ યુવા બોલિંગ એટેક સાથે મેદાનમાં ઉતરશે. આ સીરીઝમાં મયંક યાદવ લગભગ 2 વર્ષના લાંબા વિરામ બાદ ટીમમાં ફરી જોડાઈ રહ્યો છે, જે ભારતીય ટીમની બોલિંગને મજબૂત બનાવશે. આ ઉપરાંત, અશોક શર્મા અને યશ ઠાકુર જેવા યુવા બોલરોને પહેલી વાર ભારતીય સ્ક્વોડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રથમ T-20 માટે બંને ટીમોની સંભવિત ‘પ્લેઇંગ 11’
ભારતની સંભવિત XI:
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, હર્ષ દુબે, મયંક યાદવ, પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ.
ઝિમ્બાબ્વેની સંભવિત XI:
બ્રાયન બેનેટ, વેસ્લી મધવેરે, તાડીવાનાશે મારુમાની (વિકેટકીપર)/તફાદઝવા ત્સિગા, ડીઓન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, મિલ્ટન શુમ્બા, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની.




Leave a Comment