![]()
Virat Kohli Advice to Mukul: IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ભલે પ્લેઑફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ ટીમના યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીએ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની તેમની મેચ-વિનિંગ ઇનિંગ્સ બાદ તેઓ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા હતા. મુકુલ ચૌધરીએ તાજેતરમાં વિરાટ કોહલી સાથે થયેલી એક ખાસ મુલાકાત વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કોહલીએ તેમને દબાણભરી પરિસ્થિતિમાં શાંતિ જાળવવા અને મેચ ફિનિશ કરવાની કળા શીખવા અંગે મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી.
મુકુલે જણાવ્યું કે વિરાટ કોહલીએ તેમને કહ્યું હતું, “કોઈપણ ખેલાડી છગ્ગો મારી શકે છે, પરંતુ સતત મેચ ફિનિશ કરવી એક ખૂબ જ દુર્લભ કળા છે. જો તું પ્રેશર હેન્ડલકરી શકે, શાંત રહી શકે અને ઇનિંગને ક્ન્ટ્રોલ કરી શકે તો એનાથી મોટો પ્લેયર બની શકાય છે. તેમણે મને એના પર ફોકસ કરવા કહ્યું હતું નહીં કે ફક્ત મોટો શોટ્સ રમવા વિશે.” આ વાતે યુવા બેટ્સમેન પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.
KKR સામેની મેચમાં મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં સાત છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ હતો. આ ઇનિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને અશક્ય લાગતો મુકાબલો જીતાડ્યો હતો.
મુકુલ ચૌધરી રાજસ્થાનના ઝુંઝુનુમાંથી આવે છે. બાળપણથી જ તેના પરિવારનું સપનું હતું કે તે ક્રિકેટર બને. તેના પિતાએ પુત્રના ક્રિકેટ કરિયર માટે નોકરી પણ છોડી દીધી હતી અને પરિવારને વધુ સારી ટ્રેનિંગ સુવિધાઓ માટે સ્થળાંતર કરાવ્યું હતું.
અરવલ્લી કોચિંગ સેન્ટરમાં શરૂઆતમાં મુકુલને ફાસ્ટ બોલર તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોચિસે તેની લાંબા શોટ રમવાની ક્ષમતા જોઈ તેને બેટિંગ પર વધુ ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની રમતને નવી દિશા આપી હતી.
2025-26ની સીઝનમાં મુકુલે CK નાયડુ ટ્રોફીમાં 617 રન બનાવ્યા હતા, જ્યાં તેનો સરેરાશ 100થી વધુ રહ્યો હતો. ત્યારબાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું અને IPL સુધીનો રસ્તો બનાવ્યો હતો.
LSGના હેડ કોચ જસ્ટિન લેંગરે પણ મુકુલની ખૂબ પ્રશંસા કરી હતી. લેંગરે કહ્યું હતું કે મુકુલની વિકેટ વચ્ચે દોડવાની શૈલી વિરાટ કોહલી જેવી છે. તેમણે મુકુલને ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો સૌથી ખતરનાક ફિનિશર ગણાવ્યો હતો.
આ પણ વાંચો: SRHના સ્ટાર બોલર સાકિબ હુસૈને IPLમાં રચ્યો ઈતિહાસ, 10 મેચમાં બનાવ્યો ‘મહા રેકોર્ડ’
મુકુલ પોતે મહેન્દ્રસિંહ ધોનીનો મોટો પ્રશંસક છે. તેણે કહ્યું કે તેઓ હંમેશા ધોની જેવા ફિનિશર બનવા માંગતા હતા. KKR સામેની મેચ બાદ પણ તેમણે કહ્યું હતું, “હું હંમેશા રમતને અંત સુધી લઈ જવાનો પ્રયાસ કરું છું. જો હું અંત સુધી ટકી રહું, તો હું મેચ જીતાડી શકું.”
RCB સામેની મેચ પહેલાં મુકુલે પોતાની સોશિયલ મીડિયા ટીમને કહ્યું હતું કે વિરાટ કોહલી સાથે સારો ફોટો જરૂર ખેંચવો, કારણ કે તેમનું સપનું હતું કે કોહલી રિટાયર થાય તે પહેલાં તેઓ IPLમાં તેમના સામે અથવા તેમની સાથે રમે.


Leave a Comment