![]()
Pool water chlorine eye damage: ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો સ્વિમિંગ પૂલ તરફ વળે છે અને કલાકો સુધી પાણીમાં મજા માણે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂલનું આ પાણી તમારી આંખો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે? ઘણા લોકોને સ્વિમિંગ કર્યા બાદ આંખો લાલ થવી, બળતરા, ખંજવાળ કે સૂકાપણું (ડ્રાયનેસ) જેવી સમસ્યાઓ થતી હોય છે. આઇ સ્પેશિયલિસ્ટના જણાવ્યા અનુસાર, આંખોમાં થતી આ પરેશાની માટે માત્ર પાણી જવાબદાર નથી, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સ, બેક્ટેરિયા અને ગંદકી પણ મુખ્ય કારણ છે.
વધુ પડતું ક્લોરિન ‘ટીયર ફિલ્મ’ માટે ઘાતક
સ્વિમિંગ પૂલના પાણીને જંતુમુક્ત અને સાફ રાખવા માટે તેમાં ક્લોરિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરિન પાણીમાં રહેલા કીટાણુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે, પરંતુ જો તેની માત્રા વધારે હોય તો તે આંખોની કુદરતી સુરક્ષા પરત એટલે કે ‘ટીયર ફિલ્મ’ને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આંખોમાં અચાનક બળતરા, લાલાશ અને ચચરાટ થવા લાગે છે. જો કે, યોગ્ય માત્રામાં કલોરિનયુક્ત અને એકદમ ચોખ્ખું પાણી આંખો માટે સુરક્ષિત ગણાય છે.
ગંદુ પાણી અને આંખો માટે મોટું જોખમ
જો સ્વિમિંગ પૂલની નિયમિત અને યોગ્ય સાફ-સફાઈ ન રાખવામાં આવે, તો તે આંખોમાં ગંભીર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. પૂલના ગંદા પાણીમાં વાયરસ, બેક્ટેરિયા કે ફંગસ પેદા થાય છે, જે આંખોમાં એલર્જી અથવા કંજક્ટિવાઇટિસ (આંખો આવવી) જેવી બીમારીઓ નોતરે છે. ખાસ કરીને જે લોકોની આંખો વધુ સંવેદનશીલ છે અથવા જેઓ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તેમણે આવા પાણીથી વધારે સાવધ રહેવું જોઈએ.
સ્વિમિંગ કરતી વખતે આંખોને કેવી રીતે બચાવશો?
પૂલ પાર્ટી અથવા સ્વિમિંગની મજા બગડે નહીં તે માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વિમિંગ કરતી વખતે હંમેશા સારી ગુણવત્તાવાળા ‘સ્વિમિંગ ગૉગલ્સ’ (ચશ્મા) પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આંખોને ક્લોરિન અને ગંદા પાણીના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે. આ ઉપરાંત, સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા પછી તરત જ આંખોને ચોખ્ખા અને ઠંડા પાણીથી બરાબર ધોઈ નાખવી જોઈએ, જેથી આંખો પર ચોંટેલા કેમિકલ્સ કે ગંદકી સાફ થઈ જાય.
આ પણ વાંચો: બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો
આવા લક્ષણો દેખાય તો બેદરકારી ન દાખવો
જો સ્વિમિંગ કર્યા બાદ આંખોમાં સતત બળતરા થતી હોય, ઝાંખું દેખાવા લાગે, અસહ્ય દુખાવો થાય, આંખો વધુ પડતી લાલ થઈ જાય કે સોજો આવી જાય, તો તેને સામાન્ય ગણીને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઘરેલું નુસખા અજમાવવાને બદલે તુરંત જ આંખોના ડૉક્ટર (આઇ સ્પેશિયાલિસ્ટ) પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી હિતાવહ છે.
નોંધ: આ સમાચાર સામાન્ય માહિતીના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આંખોને લગતી કોઈ પણ સમસ્યામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.


Leave a Comment