![]()
Ebola Health Emergency: આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલા વાઈરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરની પોતાની રાજ્ય અને સ્થાનિક શાખાઓને સતર્ક રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે. IMA હેડક્વાર્ટર તરફથી જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 336થી વધુ શંકાસ્પદ કેસ અને 87 મોતો સામે આવી ચૂકી છે. આ સંક્રમણ હાલમાં કોંગો અને પાડોશી દેશ યુગાન્ડા સુધી મર્યાદિત હોવાનું જણાવાયું છે.
કોવિડ-19 જેટલો ભયંકર નથી પણ..
IMAના જણાવ્યા મુજબ ઇબોલા સંક્રમિત થયેલા માણસના બ્લડ (લોહી), શરીરમાંથી નીકળતા પ્રવાહી પદાર્થો, ઉલટી અથવા સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પ્રક્રિયાઓ પણ સંક્રમણનું મોટું કારણ બની શકે છે. જો કે, પત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇબોલા સામાન્ય પરિસ્થિતિમાં હવા દ્વારા ફેલાતો નથી અને આ કોવિડ-19 જેટલો ઝડપથી સંક્રમણ ફેલાવનારો વાઈરસ નથી.
કોઈ રસી કે ખાસ સારવાર ઉપલબ્ધ નથી
IMA એ ડોક્ટરોને મોકલેલા એલર્ટમાં જણાવ્યું છે કે આ વખતે ઇબોલાના બુંડીબુગ્યો સ્ટ્રેનનો પ્રકોપ છે, જેના માટે અત્યાર સુધી કોઈ માન્યતા પ્રાપ્ત વેક્સિન (રસી) અથવા ખાસ સારવાર ઉપલબ્ધ નથી.
શરૂઆત કેવી રીતે થાય છે?
ઇબોલાના શરૂઆતી લક્ષણોમાં ખૂબ તાવ, નબળાઈ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ગળામાં ખરાશ શામેલ છે. IMA એ તમામ ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને સતર્ક રહેવા, શંકાસ્પદ કેસો પર નજર રાખવા અને સંક્રમણ નિયંત્રણના નિયમોનું કડકાઈથી પાલન કરવાની અપીલ કરી છે.
સંક્રમણ પછી દેખાઈ શકે છે આ લક્ષણો
-ઉલટી થવી
-ઝાડા થવા
-શરીરમાંથી લોહી નીકળવું અથવા બ્લીડિંગ
-શરીરને શૉક લાગવો અને કેટલાય અંગોનું કામ કરવાનું બંધ થવું
સંક્રમણ ફેલાતું કેવી રીતે અટકાવવું?
-બીમારીની વહેલી ઓળખ અને દર્દીને અલગ (આઈસોલેટ) રાખવા
-હાથની સારી રીતે સફાઈ રાખવી
-મેડિકલ કચરાનો સુરક્ષિત રીતે નિકાલ
-સંક્રમણ અટકાવવાના તમામ નિયમોનું પાલન કરવું
-સ્વચ્છ હાથ, સુરક્ષિત જીવન
IMA એ લોકોને અપીલ કરી છે કે સંક્રમણથી બચવા માટે સતર્ક રહે અને સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનું પાલન કરે.



Leave a Comment