IMD Monsoon Forecast 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે. જે એપ્રિલ મહિનામાં વ્યક્ત કરાયેલા 92% ના અંદાજ કરતાં પણ ઘણો ઓછો છે. ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ભારત આવા ચોમાસાનો સામનો કરવા જઈ રહ્યું છે જે સત્તાવાર રીતે સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે.
કૃષિ ક્ષેત્રમાં સમસ્યા પેદા થઇ શકે છે.
ચોમાસાની આ સિઝન દેશના કૃષિ ક્ષેત્ર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ વર્ષે ચોમાસાનો વરસાદ 90% કરતાં પણ ઓછો રહેવાની 60% જેટલી મોટી શક્યતા છે, જેને હવામાન વિભાગ ડેફિસિઅન્ટ (Deficient) એટલે કે અછતગ્રસ્ત શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. હવામાન વિભાગ પાસે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવાના કોઈ ચોક્કસ માપદંડ નથી, તે માત્ર વરસાદની તીવ્ર અછતનો સંકેત આપે છે. આ સીઝનમાં વરસાદ વધુ ખરાબ થઈને 90% ની મર્યાદાથી પણ ઓછો થાય તેવી શક્યતા 35% છે.
અછતગ્રસ્ત ચોમાસાની શક્યતા 16%
ઐતિહાસિક રીતે દેશમાં આવા અછતગ્રસ્ત ચોમાસાની સંભાવના માત્ર 16% ની આસપાસ જ હોય છે, પરંતુ આ વખતે આ જોખમ બમણા કરતાં પણ વધુ છે. આ અંદાજમાં પ્લસ કે માઈનસ 5% ની ત્રુટિ (margin of error) હોઈ શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ એમ. મોહપાત્રાના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદની સ્થિતિ અલગ અલગ રહેશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશના માત્ર 92% જેટલો જ વરસાદ પડી શકે છે.
પૂર્વત્તોર (નૉર્થ-ઈસ્ટ) ભારત: માત્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં જ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 94% થી 104% ની વચ્ચે સામાન્ય વરસાદ થવાની આશા છે.
તાપમાનમાં વધારો: ઓછો વરસાદ પડવાના કારણે આ સીઝનમાં દિવસ અને રાત્રિ બંનેના તાપમાન સામાન્ય કરતાં ઊંચા (higher side) રહેવાની આશંકા છે.
કેરલમમાં ચોમાસું મોડું પડશે, અલ-નીનોનું ગ્રહણ
અગાઉ ચોમાસું 26 મેના રોજ કેરલમમાં પહોંચે તેવું અનુમાન હતું, પરંતુ હવે તે જૂનના પ્રથમ સપ્તાહમાં લેન્ડફોલ થાય તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું કે, ચોમાસું ભારતના દક્ષિણ સમુદ્ર પર પહોંચી ગયું છે, પરંતુ કમનસીબે તે હજુ જમીની ભાગ પર આગળ વધી શક્યું નથી. જૂન મહિનો, જ્યારે ખેડૂતો ખરીફ પાકની વાવણી શરૂ કરે છે, ત્યારે પણ વરસાદ સામાન્યના માત્ર 94% જેટલો જ એટલે કે ઓછો રહેવાનું અનુમાન છે.
અલ નીનોનો ખતરો
પ્રશાંત મહાસાગરમાં અલ નીનો ખૂબ જ ઝડપથી સક્રિય થઈ રહ્યું છે અને ત્યાં સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. આના કારણે ચોમાસાના આગળના મહિનાઓમાં વરસાદ વધુ પ્રભાવિત અને દબાયેલો રહી શકે છે.
મોંઘવારી વધશે?
ખેડૂતો અને અર્થતંત્ર પર થનારી અસરોમાં વરસાદ માત્ર હવામાનની ઘટના નથી પરંતુ ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, જેના કારણે આ નબળા ચોમાસાની સીધી અસરો જોવા મળશે. ભારતના કુલ ફુગાવાના આંકડામાં ખાદ્ય ચીજોનો હિસ્સો લગભગ 37% જેટલો મોટો છે. તેથી જ્યારે પણ ખેતરોમાં ઉત્પાદન ઘટે છે, ત્યારે બજારો અને કરિયાણાની દુકાનોમાં શાકભાજી તથા અનાજના ભાવ વધવા લાગે છે, જેનો સૌથી મોટો આર્થિક બોજ સામાન્ય પરિવારોના બજેટ પર પડે છે.


Leave a Comment