![]()
મુંબઈ : ઓપન માર્કેટમાંથી શેરોના બાયબેકને ફરીથી દાખલ કરવાના પ્રસ્તાવને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મંજૂરી આપી છે. આ માર્ગે બાયબેક ૧લી ઓગસ્ટ થી અમલી બનશે એમ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ સેબીની બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું.
હાલમાં, કંપનીઓને ટેન્ડર ઓફર દ્વારા શેરોનું બાયબેક કરવાની પરવાનગી છે, જ્યાં શેરધારકો પ્રપોર્શનેટલી-પ્રમાણસર રીતે ભાગ લે છે અથવા ઓડ-લોટ બાયબેક અને અન્ય માળખાગત માર્ગો દ્વારા બાયબેકમાં જોડાય છે. જો કે, સ્ટોક એક્સચેન્જ દ્વારા ઓપન માર્કેટ મેકેનિઝમ, બિનકાર્યક્ષમતા અને સમાન ભાગીદારીના અભાવને કારણે અગાઉ તબક્કાવાર રીતે આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
ઓપન માર્કેટ રૂટ સામાન્ય રીતે કંપનીઓને ચોક્કસ સમયગાળા દરમિયાન સેકન્ડરી માર્કેટમાંથી સીધા શેર ખરીદવાની મંજૂરી આપે છે, જે અમલીકરણ અને સમયમાં સુગમતા પ્રદાન કરે છે. અલબત ઐતિહાસિક રીતે બધા શેરધારકોને ભાગીદારીને ગેરંટી ન આપવા અને કંપનીઓને બજાર ભાવોને પ્રભાવિત કરવા સક્ષમ બનાવવા બદલ તેની ટીકા કરવામાં આવી હતી. નવા નિયમ હેઠળ, ઓપન માર્કેટ બાયબેક સમયગાળાની મર્યાદા ૬૦ દિવસની રહેશે અને ઓછામાં ઓછા ૪૦ ટકા ફંડનો ઉપયોગ કરવો પડશે.
કંપનીઓ દ્વારા શેરધારકોને સરપ્લસ કેશ પરત કરવા, શેર દીઠ કમાણી સુધારવા અને ભવિષ્યની સંભાવનાઓમાં વિશ્વાસ દર્શાવવા માટે મૂડી ફાળવણીના સાધન તરીકે બાયબેકનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. ઓપન માર્કેટ રૂટની ગેરહાજરીમાં મર્યાદિત અમલીકરણ વિકલ્પો છે, ખાસ કરીને એવી કંપનીઓ માટે જે નિશ્ચિત ટેન્ડર ઓફર કરવાને બદલે સમય જતાં ખરીદીને તબક્કાવાર કરવા માંગે છે.
સેબીએ જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જ રૂટ દ્વારા ઓપન માર્કેટ બાયબેક હાલના બાયબેક ફ્રેમવર્ક હેઠળ વધારાના વિકલ્પ તરીકે રહેશે. સેબીએ કરવેરા માળખામાં અનુગામી ફેરફારોએ વિવિધ બાયબેક પદ્વતિઓ વચ્ચેની અગાઉની અસમાનતાને દૂર કરી છે. જો કે નિયામક તંત્ર એ ખાતરી કરશે કે રૂટનો દુરૂપયોગ ન થાય અને તેથી બાયબેક સમયગાળા દરમિયાન પ્રમોટર અને પ્રમોટર ગુ્રપ હોલ્ડિંગ્સ આઈઅસઆઈએન સ્તરે ફ્રીઝ કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સને ટેન્ડર ઓફર રૂટ દ્વારા કરવામાં આવતા બાયબેકમાં ભાગ લેવાની મંજૂરી ચાલુ રહશે, ત્યારે ફ્રીઝનો હેતુ બાયબેક પ્રક્રિયા દરમિયાન કંપનીની સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ અટકાવવા અને રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો છે.
નિયામક તંત્રએ એ પણ નિર્ણય લીધો છે કે, બાયબેક કરતી કંપનીઓ જાહેર જાહેરાતના એક કાર્યકારી દિવસની અંદર શેરધારકોને ઈલેક્ટ્રોનિક રીતે સૂચિત કરશે. પબ્લિક એનાઉસમેન્ટની તારીખે સિક્યોરિટીઝ ધરાવતા શેરધારકોને આ સંદેશ મોકલવામાં આવશે, જેનાથી માહિતી પ્રસારની ગતિ અને પહોંચમાં સુધારો થશે. અન્ય એક કાર્યકારી ફેરફારમાં, સેબીએ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા બાયબેક માટે અલગ ટ્રેડિંગ વિન્ડોની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
ટેક્સ ટ્રીટમેન્ટમાં તફાવતને કારણે આ સમર્પિત વિન્ડો મૂળ રૂપે રજૂ કરવામાં આવી હતી. પરંતુ સેબી માને છે કે, સુધારેલા ટેક્સ ફ્રેમવર્ક હેઠળના ફેરફારો પછી તેની જરૂર નથી. બાયબેક વ્યવહારો સ્ટોક એક્સચેન્જના નિયમિત ટ્રેડિંગ મેકેનિઝમ દ્વારા કરવામાં આવશે.
MTF ફંડિંગ માટે એનસીડીને મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મૂકાયો
સ્ટોક બ્રોકર્સને લિસ્ટેડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડીઝ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને અનુમતિપાત્ર માર્જિન ટ્રેડિંગ ફેસેલિટી (એમટીએફ) એક્સપોઝરની ગણતરી કરતી વખતે આવા બોરોઈંગનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતું ભંડોળના માર્ગોનો વિસ્તાર કરવા અને નાણાકીય ક્ષમતા વધારવાનો છે.
એક મુખ્ય પ્રસ્તાવ માર્જિન ટ્રેડિંગ સુવિધા માટે ઉપલબ્ધ ભંડોળના સ્ત્રોતોને વિસ્તૃત કરવાનો છે. હાલમાં, બ્રોકો મુખ્યત્વે તેમની પોતાની મૂડી અને બેંક બોરોઈંગ દ્વારા એમટીએમને ફાઈનાન્સ કરી શકે છે. સેબીએ લિસ્ટેડ એનસીડીઝ અને અન્ય માન્ટ ડેટ સાધનો દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ એમટીએફ ફાઈનાન્સિંગ માટે કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે તે સલામતીને આધીન રહેશે. નિયામક તંત્રએ જણાવ્યું હતું કે, આ ભંડોળના સ્ત્રોતોને વૈવિધ્યસભર બનાવશે, બ્રોકરો માટે પ્રવાહિતામાં સુધારો કરશે અને પરંપરાગત બેંક ક્રેડિટ સુવિધા પર નિર્ભરતા ઘટાડશે.


Leave a Comment