કોણ ‘ઇન’ કોણ ‘આઉટ’ ?
કેન્દ્ર સરકાર હાલમાં NEET પેપર લીક, CBSE નકલ પુનઃમૂલ્યાંકન, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાંથી દાનની ઉચાપત અને મુખ્યમંત્રી મોહન યાદવ સામેના આરોપોમાં ફસાયેલી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની વિપક્ષની માંગણીઓ વચ્ચે ચર્ચા એ જોર પકડ્યુ છે કે, મોદી કેબિનેટમાં મોટો ફેરફાર નિકટવર્તી છે. આ ખાલી જગ્યાઓ ભરવાનું કામ પીએમ મોદી અને ભાજપ હાઇકમાન્ડ પર નિર્ભર છે. રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, મોદી કેબિનેટમાં ઘણા મંત્રીઓને દૂર કરાશે. અને કેટલાકના પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે.
પ્રથમ વિસ્તરણ નવેમ્બર 2014માં થયું
મોદી મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 10 નવેમ્બર 2014ના રોજ થયું હતું. પીએમ મોદીએ માત્ર છ મહિના પહેલા, 26 મે 2014ના રોજ પીએમ તરીકે શપથ લીધા હતા. તે સમયે, પીએમ મોદીએ 45 મંત્રીઓ સાથે શપથ લીધા હતા, અને જ્યારે વિભાગો ફાળવવામાં આવ્યા હતા, ત્યારે ઘણા મંત્રીઓને એક કરતાં વધુ વિભાગો આપવામાં આવ્યા હતા. મંત્રીઓ પર કામનો ભાર વધતો ગયો, મોદી સરકારનું પહેલું મંત્રીમંડળ વિસ્તરણ 10 નવેમ્બર, 2014 ના રોજ થયું. નવેમ્બર 2014 માં કુલ 21 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં ચાર કેબિનેટ મંત્રીઓ, 14 રાજ્યમંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા ત્રણ રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.
શિવસેના-ભાજપ સંબંધોમાં ખટાશ
પહેલા મંત્રીમંડળ વિસ્તરણમાં, જેપી નડ્ડાને પહેલી વાર સીધા કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, શિવસેનામાંથી આવેલા સુરેશ પ્રભુને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. સુરેશ પ્રભુને પાછળથી રેલ્વે મંત્રાલય મળ્યું. આ સમયગાળા દરમિયાન શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધોમાં પહેલી વાર ખટાશ આવી. શિવસેનાના અનિલ દેસાઈ હાજર ન હોવાથી શપથ લઈ શક્યા નહીં.
5 જુલાઈ 2016ના રોજ બીજું મંત્રીમંડળનું વિસ્તરણ
મોદી સરકારનું બીજું મંત્રીમંડળ વિસ્તરણ 2016ના રોજ થયું. નોટબંધીના માત્ર ત્રણ મહિના પહેલા, 19 રાજ્યમંત્રીઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે પાંચ મંત્રીઓને દૂર કરવામાં આવ્યા હતા. પ્રકાશ જાવડેકરને પણ બઢતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું આપનારા પાંચ મંત્રીઓમાં નિહાલચંદ, રામ શંકર કથેરિયા, સાંવર લાલ જાટ, મનુષ્કભાઈ ડી વસાવા અને એમકે કુંડારિયા હતા.
19 નવા ચહેરાની થઇ હતી નિમણૂક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં માત્ર છ મહિનામાં ચૂંટણીઓ યોજાવાની હતી. મોદી સરકારમાં એસએસ આહલુવાલિયા, રમેશ ચંદપ્પા જિગ્જીનાગી, પુરુષોત્તમ રૂપાલા, એમજે અકબર, અર્જુન રામ મેઘવાલ, અનિલ માધવ દવે, વિજય ગોયલ, રાજેન ગોહૈન, મહેન્દ્ર નાથ પાંડે, સીઆર ચૌધરી, પીપી ચૌધરી, રામદાસ આઠવલે, સુભાષ રામરાવ ભામરે, જસવંત સિંહ ભાભોર, મનસુખ માંડવિયા, ફગ્ગન સિંહ કુલસ્તે, અજય તમટા, અનુપ્રિયા સિંહ પટેલ અને કૃષ્ણ રાજનો સમાવેશ થતો હતો.
સપ્ટેમ્બર 2017માં ત્રીજું મંત્રીમંડળ વિસ્તરણ
મોદી સરકારનો ત્રીજો મંત્રીમંડળ વિસ્તરણ સપ્ટેમ્બર 2017 માં થયો હતો. મંત્રીમંડળમાં નવ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાર મંત્રીઓને બઢતી આપવામાં આવી હતી, જ્યારે છને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. કેબિનેટ પદ પર બઢતી આપવામાં આવેલા મંત્રીઓમાં મુખ્તાર અબ્બાસ નકવી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. રાજ્યમંત્રી તરીકે મંત્રીમંડળમાં સામેલ કરાયેલા નવ મંત્રીઓમાં અશ્વિની કુમાર ચૌબે, વીરેન્દ્ર કુમાર, ગજેન્દ્ર સિંહ શેખાવત, અનંત કુમાર હેગડે, સત્યપાલ સિંહ, શિવ પ્રતાપ શુક્લા, આલ્ફોન્સ, રાજકુમાર સિંહ અને હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
રાજ્યોની ચૂંટણી પર અપાયુ ધ્યાન
આ મંત્રીમંડળ વિસ્તરણમાં ચૂંટણી રાજ્યોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી થવાની હતી. તેથી, અનંત કુમાર હેગડેને કર્ણાટક ક્વોટામાંથી, વીરેન્દ્ર કુમારને મધ્યપ્રદેશ ક્વોટામાંથી અને ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજસ્થાન ક્વોટામાંથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે છ મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરાયા હતા તેમાં કલરાજ મિશ્રા, બંડારુ દત્તાત્રેય, રાજીવ પ્રતાપ રૂડી, ફગ્ગન સિંહ કુલસ્તે, સંજીવ બાલ્યાન અને મહેન્દ્ર નાથ પાંડેનો સમાવેશ થાય છે. કલરાજ મિશ્રા 76 વર્ષના થઈ ગયા હતા. મહેન્દ્ર નાથ પાંડેને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમને મંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. બંડારુ દત્તાત્રેય રોહિત વેમુલા કેસમાં આરોપોમાં ફસાયા હતા.
2019માં 57 મંત્રીઓ સાથે શપથ લીધા
2019ની લોકસભા ચૂંટણી યોજાઈ હતી, અને ભાજપે જંગી જીત મેળવી હતી. 30 મે 2019ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. વડા પ્રધાન મોદી સાથે 57 મંત્રીઓએ શપથ લીધા હતા. ફરીથી વડા પ્રધાન બન્યાના બે વર્ષ પછી, વડા પ્રધાન મોદીએ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. આ પીએમ મોદીના બીજા કાર્યકાળનું પહેલું મંત્રીમંડળ વિસ્તરણ અને મોદી સરકારનું ચોથું મંત્રીમંડળ વિસ્તરણ હતું. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ વિસ્તરણ હતું. મંત્રીમંડળમાં છત્રીસ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુમાં, 12 મંત્રીઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
મંત્રીમંડળમાંથી આ નેતા દૂર કરાયા
ચોથા મંત્રીમંડળ વિસ્તરણમાં, ડૉ. હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, થાવરચંદ ગેહલોત, સદાનંદ ગૌડા, સંતોષ કુમાર ગંગવાર, રતનલાલ કટારિયા, બાબુલ સુપ્રિયો, પ્રતાપ ચંદ્ર સારંગી, સંજય ધોત્રે અને સુશ્રી દેવશ્રી ચૌધરી જેવા અગ્રણી નેતાઓને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા. નવા ચહેરાઓમાં નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામ પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, રાજકુમાર સિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, જી. કિશન રેડ્ડી અને અનુરાગ સિંહ ઠાકુરનો સમાવેશ થાય છે. અજય ભટ્ટ, શોભા કરંદલાજે, સુનિતા દુગ્ગલ, મીનાક્ષી લેખી, ભારતી પવાર, શાંતનુ ઠાકુર અને અનુપ્રિયા પટેલનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાંચમા મંત્રીમંડળના વિસ્તરણમાં શું ખાસ ?
2024માં મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા હતા. આ પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળના વિસ્તરણમાં યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે ઘણા મંત્રીઓને દૂર કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક વરિષ્ઠ મંત્રીઓને સંગઠનાત્મક કાર્યમાં તૈનાત કરવામાં આવી શકે છે. મોદી સરકાર મંત્રીમંડળની સરેરાશ ઉંમર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
આ પણ વાંચોઃ અગન વર્ષાએ એક જ અઠવાડિયામાં 1300 લોકોના લીધા જીવ, હજુ વધશે મોતનો આંકડો




Leave a Comment