દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે NEET પરીક્ષા મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અભિનેત્રી ભૂમિ પેડનેકર, હુમા કુરેશી, નંદિતા દાસ અને લેખિકા સુતપા સિકદારે વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવી લોકશાહી, સંવાદ અને જવાબદેહી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ભૂમિ પેડનેકર: હિંસા કોઈ ઉકેલ નથી
અભિનેત્રી ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું, કે હિંસા કોઈપણ સમસ્યાનો ઉકેલ બની શકતી નથી. તેમના મતે લોકશાહીમાં સંવાદ સૌથી મોટું સાધન છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા જરૂરી છે.
ભૂમિએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે પેપર લીક, પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ, શિક્ષકોની અછત અને વિદ્યાર્થીઓ પર વધતું માનસિક દબાણ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી કામ થવું જોઈએ.
હુમા કુરેશી અને નંદિતા દાસે વ્યક્ત કર્યો વિરોધ
અભિનેત્રી હુમા કુરેશીએ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને દુઃખદ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, કે આવી પરિસ્થિતિનો ઉકેલ ધીરજ અને વાતચીત દ્વારા લાવી શકાય તેમ હતો.
બીજી તરફ, અભિનેત્રી નંદિતા દાસે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે રચનાત્મક અસંતોષ લોકશાહીનો મહત્વનો ભાગ છે અને દરેક નાગરિકને સન્માનપૂર્વક પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ.
સુતપા સિકદારે વિદ્યાર્થીઓની વ્યથા વર્ણવી
સ્ક્રીનપ્લે રાઇટર સુતપા સિકદારે સોશિયલ મીડિયા પર લખ્યું કે વિરોધ પ્રદર્શનમાં સામેલ મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારોમાંથી આવ્યા હતા, જેઓ પોતાના ભવિષ્ય માટે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે સમગ્ર ઘટનાને હૃદયદ્રાવક ગણાવતા કહ્યું કે આવા દ્રશ્યો દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
NEET મુદ્દે ચાલી રહ્યું છે આંદોલન
NEET પરીક્ષા અને પેપર લીકના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ‘સંસદ ચલો’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ત્યારબાદ CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
તેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુકની મુક્તિ અને પેપર લીકના કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની માંગ પણ સામેલ હોવાનું જણાવાયું છે.




Leave a Comment