સુરતના ઊન વિસ્તારમાં તિરુપતિ નગર નજીક આવેલા મહેમૂદિયા મદરેસામાં 11 વર્ષીય નજીસ મોહમ્મદ ઉર્ફે નાઝિશ અભ્યાસ કરતો હતો. ગત 25 ઓગસ્ટે સાંજના સમયે તે મદરેસાની છત પર હતો. છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી અચાનક તેનો પગ લપસી ગયો હતો. તે બાજુમાં ચાલી રહેલા મકાનના બાંધકામની સાઇટ પર પટકાયો હતો. ત્યાં ઊભા રાખવામાં આવેલા લોખંડના સળિયામાં તે ફસાઈ ગયો હતો અને સળિયો શરીરમાં ઘૂસી ગળાના પાછળના ભાગેથી મોઢા સુધી પહોંચી ગયો હતો.
સ્થાનિકોએ સળિયો કાપીને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો
ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને શરીરમાં ઘૂસેલો સળિયો કાઢવો જોખમી હોવાથી સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર સળિયાને કાપીને બાળકને તેમાંથી અલગ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પહોંચતા જ ઈમરજન્સી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
મોઢામાં સળિયો હોવાથી એનેસ્થેસિયાની ટ્યુબ નાખવી મોટો પડકાર
સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી યુનિટ હેડ ડો. દિવ્યાંગ દવેના જણાવ્યા મુજબ, બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ તેની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીટી સ્કેન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેને સીધો ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો હતો. સળિયો મોઢામાંથી બહાર નીકળેલો હોવાથી એનેસ્થેસિયાની ટ્યુબ દાખલ કરવી સૌથી મોટો પડકાર હતો. જોકે, એનેસ્થેસિયા ટીમે અત્યંત સાવચેતીપૂર્વક આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
બેથી ત્રણ કલાકની સર્જરી બાદ સળિયો બહાર કાઢ્યો
ડોક્ટરોની ટીમે લાંબી અને અત્યંત જટિલ સર્જરી હાથ ધરી હતી. લગભગ બેથી ત્રણ કલાકની મહેનત બાદ શરીરમાં ઘૂસેલો લોખંડનો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. સર્જરી બાદ બાળકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ અને સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર થતાં તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.
‘બચવાની શક્યતા પણ ઓછી લાગી રહી હતી’
બાળકના મામા સદરે આલમે જણાવ્યું કે મદરેસામાંથી ફોન આવ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બાળકની હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ, સળિયો બાળકના શરીરમાં પાછળથી ઘૂસીને મોઢા સુધી પહોંચી ગયો હતો.
સ્થિતિ એટલી ગંભીર હતી કે બાળક બચશે કે નહીં તેની પણ આશા ઓછી લાગી રહી હતી. જોકે, ડોક્ટરોએ સમયસર સારવાર અને સર્જરી કરીને સળિયો બહાર કાઢ્યો અને હવે તબીબોએ બાળકની સ્થિતિ અંગે આશ્વાસન આપ્યું છે.




Leave a Comment