દેશભરમાં સામાન્ય લોકોના બજેટ અને દૈનિક જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. તેમાં LPG સિલિન્ડરના ભાવ, LPG e-KYC, ATF-CNG-PNGના દર, કારની કિંમતો અને એરપોર્ટ ઈમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલા ફેરફારોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક ફેરફારો સીધી રીતે તમારા ખિસ્સા પર અસર કરી શકે છે.
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. તેથી 1 સપ્ટેમ્બર 2026ના રોજ નવા દર જાહેર થઈ શકે છે. ઓગસ્ટની શરૂઆતમાં 19 કિલોના કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹202નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. હવે સપ્ટેમ્બરમાં ઘરેલુ અને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં શું ફેરફાર થાય છે તેના પર નજર રહેશે.
LPG e-KYC નહીં કરો તો મુશ્કેલી વધી શકે
ઘરેલુ LPG કનેક્શન માટે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બની છે. IOCL, BPCL અને HPCL દ્વારા e-KYCની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી હોવાની માહિતી છે.
જો ગ્રાહકો સમયમર્યાદામાં e-KYC પૂર્ણ નહીં કરે તો 1 સપ્ટેમ્બર બાદ LPG સિલિન્ડરની બુકિંગ અથવા સપ્લાયમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી LPG ગ્રાહકો માટે સમયસર e-KYC પૂર્ણ કરવું મહત્વપૂર્ણ રહેશે.
ATF, CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર શક્ય
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવની સમીક્ષા કરે છે. ATFના ભાવમાં વધારો કે ઘટાડો થાય તો તેની અસર એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચ અને કેટલીક પરિસ્થિતિમાં હવાઈ ભાડા પર પણ જોવા મળી શકે છે.
આ ઉપરાંત CNG અને PNGના ભાવમાં પણ સપ્ટેમ્બરની શરૂઆતમાં ફેરફાર થઈ શકે છે. એટલે CNG વાહનચાલકો અને PNG વપરાશકર્તાઓ માટે પણ નવા દર મહત્વના રહેશે.
Tata અને Hyundaiની કાર મોંઘી થઈ શકે
નવી કાર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે સપ્ટેમ્બરથી ખર્ચ વધી શકે છે. Tata Motors Passenger Vehicles દ્વારા 1 સપ્ટેમ્બર 2026થી પોતાની કાર અને SUVની કિંમતોમાં ₹25,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વધારો પેટ્રોલ-ડીઝલ વાહનો ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રિક મોડલ્સ પર પણ લાગુ થઈ શકે છે. બીજી તરફ Hyundai Motor India દ્વારા પણ 2026માં કારની કિંમતોમાં ત્રીજા વધારાની જાહેરાત કરવામાં આવી છે. તેથી નવી કાર ખરીદતા પહેલા સપ્ટેમ્બરથી લાગુ થનારી કિંમત તપાસવી જરૂરી રહેશે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઈમિગ્રેશન પ્રક્રિયા સરળ બનશે
1 સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર થવાની માહિતી છે. રિપોર્ટ અનુસાર, વિદેશ જતા મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ કરાવવાની જરૂર નહીં રહે.
મુસાફરો મોબાઇલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી રજૂ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ફેરફારથી પેપરવર્ક ઘટવાની સાથે ઈમિગ્રેશન પ્રક્રિયામાં સમયની બચત થવાની અપેક્ષા છે.




Leave a Comment