15 સપ્ટેમ્બરની સમયમર્યાદાએ નાના વેપારીઓ અને ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે. જો કેટલાક મર્ચન્ટ્સનું જરૂરી વેરિફિકેશન સમયસર પૂર્ણ નહીં થાય તો તેમના QR આધારિત પેમેન્ટ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
રિઝર્વ બેંકના નિયમો હેઠળ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા મર્ચન્ટ્સ માટે સમયાંતરે KYC માહિતી અપડેટ કરવી જરૂરી હોય છે. આ પ્રક્રિયાને Re-KYC કહેવામાં આવે છે. મર્ચન્ટની KYC માહિતી સમયસર અપડેટ ન થાય તો સંબંધિત પેમેન્ટ સેવા પ્રદાતા નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરી શકે છે.
હાલની ચર્ચામાં 15 સપ્ટેમ્બર સુધીમાં Re-KYC પૂર્ણ કરવાની સમયમર્યાદાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. પેમેન્ટ એગ્રીગેટર્સ અને ફિનટેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં નાના વેપારીઓનું વેરિફિકેશન હજુ બાકી છે. આ જ કારણસર ઉદ્યોગ તરફથી સમયમર્યાદા વધારવાની માગ પણ કરવામાં આવી રહી છે.
QR કોડ બંધ થયો તો ગ્રાહકોને શું મુશ્કેલી પડશે?
જો કોઈ નાના વેપારીનું Re-KYC સમયસર પૂર્ણ ન થાય અને તેના QR કોડ આધારિત પેમેન્ટ પર નિયંત્રણ આવે, તો ગ્રાહકોને દુકાન પર ચુકવણી કરવામાં મુશ્કેલી પડી શકે છે. ઉદાહરણ તરીકે, તમે શાકભાજી ખરીદવા જાઓ અને દુકાનદારનો QR કોડ કામ ન કરે તો સામાન્ય UPI પેમેન્ટ કરી શકાશે નહીં.
આવી સ્થિતિમાં દુકાનદાર અને ગ્રાહકને અન્ય ઉપલબ્ધ ચુકવણી વિકલ્પનો ઉપયોગ કરવો પડી શકે છે. કેટલાક કિસ્સામાં રોકડ આપવી પડે અથવા બેંક ટ્રાન્સફર જેવા વિકલ્પનો ઉપયોગ થઈ શકે છે.
લાખો નાના વેપારીઓ પર અસર થવાની ચિંતા
આ મુદ્દે સૌથી વધુ ચિંતા નાના વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા વેપારીઓને લઈને છે. આવા વ્યવસાયોમાં ડિજિટલ પેમેન્ટ માટે QR કોડનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે અને ઘણા ગ્રાહકો પાસે રોકડ રાખવાની જરૂરિયાત પણ ઘટી ગઈ છે.
ઉદ્યોગ સાથે જોડાયેલા અંદાજ મુજબ, આશરે 30થી 35 ટકા નાના અને લારી-ગલ્લા આધારિત વેપારીઓ આ પ્રક્રિયાથી પ્રભાવિત થઈ શકે છે.
આશરે 10 લાખ નાના વેપારીઓ જોખમના દાયરામાં હોવાનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે, આ આંકડા અંદાજ આધારિત છે અને વાસ્તવિક અસર Re-KYCની પ્રગતિ તથા નિયમનકારી નિર્ણય પર નિર્ભર રહેશે.
શું 15 સપ્ટેમ્બર પછી સમગ્ર UPI સિસ્ટમ બંધ થઈ જશે?
અહીં સૌથી મહત્વની વાત એ છે, કે આ મુદ્દો સમગ્ર દેશમાં UPI સેવા બંધ થવા સાથે જોડાયેલો નથી. જો કોઈ ચોક્કસ મર્ચન્ટનું Re-KYC પૂર્ણ ન થાય તો તેની પેમેન્ટ સ્વીકારવાની સુવિધા પર અસર થવાની ચિંતા છે. મોટા વેપારીઓ, કંપનીઓ અને નિયમિત રીતે KYC પૂર્ણ કરેલા મર્ચન્ટ્સની પેમેન્ટ સુવિધા સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. એટલે ગ્રાહકો માટે UPI સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે એવી ચિંતા કરવાની જરૂર નથી.
અસર મુખ્યત્વે એવા મર્ચન્ટ્સ સુધી મર્યાદિત રહી શકે છે જેમની KYC પ્રક્રિયા અધૂરી હોય. નાના વેપારીઓની મોટી સંખ્યામાં KYC પ્રક્રિયા બાકી હોવાના દાવા વચ્ચે પેમેન્ટ એગ્રીગેટર્સ અને ફિનટેક કંપનીઓ તરફથી સમયમર્યાદા વધારવાની માગ કરવામાં આવી રહી છે.
ઉદ્યોગનું માનવું છે કે નાના વેપારીઓ સુધી Re-KYCની પ્રક્રિયા પહોંચાડવામાં વધુ સમય લાગી શકે છે. ખાસ કરીને લારી-ગલ્લા, નાના સ્ટોલ અને નાના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત વેપારીઓ માટે ડિજિટલ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવવી પડકારરૂપ બની શકે છે.


