CBSE 12th Re-evaluation Result: CBSE ધોરણ-12ની રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં ઝારખંડના રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ પરિણામમાં ઓછા ગુણ મળ્યા બાદ રિ-ઇવેલ્યુએશન માટે અરજી કરનાર અવનીના કુલ 24 ગુણ વધતા હવે તેને 500માંથી 500 ગુણ મળ્યા છે.100 માંથી 100 માર્ક મળ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, અવનીને પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી વિષયમાં અપેક્ષા કરતાં 19 ગુણ ઓછા મળ્યા હતા. ઉપરાંત બિઝનેસ સ્ટડીઝમાં પણ 5 ગુણ ઓછા નોંધાયા હતા. અંગ્રેજી તેનો સૌથી મજબૂત અને પ્રિય વિષય હોવાથી તેણે ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ બંને વિષયોમાં ગુણ વધતા તેનો કુલ સ્કોર 100 ટકા પર પહોંચી ગયો છે.
અવનીને માર્ક મામલે હતો અસંતોષ
ધુર્વા સ્થિત DPS સેલ ટાઉનશિપ સ્કૂલમાં અભ્યાસ કરતી અવનીએ આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, શિક્ષકો અને માર્ગદર્શકને આપ્યો છે. તેના પિતા મિતેશ કેજરીવાલ વ્યવસાયી છે. જ્યારે માતા પૂનમ કેજરીવાલ ગૃહિણી છે. પરિવારના જણાવ્યા મુજબ અવની શરૂઆતથી જ અભ્યાસ પ્રત્યે ગંભીર અને મહેનતુ રહી છે.
બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી માટેઇચ્છુક
અવનીએ જણાવ્યું કે તે ભવિષ્યમાં બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે. આ માટે તેણે CUET UG 2026 પરીક્ષા પણ આપી છે. ઉલ્લેખનીય છે કે CBSEએ આ વર્ષે ધોરણ-12ની ઉત્તરવહીઓની તપાસ માટે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરતાં બોર્ડે રિ-ઇવેલ્યુએશનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.


Leave a Comment