Sonam Wangchuk’s support to Cockroach Janata Party : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર “કોકરોચ આંદોલન” ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોતાને “કોકરોચ જનતા પાર્ટી (CJP)” કહેતા યુવાનોના આ ઓનલાઈન અભિયાનને હવે જાણીતા પર્યાવરણવિદ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકનું પણ સમર્થન મળ્યું છે. વાંગચુકે પોતાને “ઓનરરી કોકરોચ” ગણાવતાં કહ્યું કે સરકારે યુવાનોનો અવાજ દબાવવાને બદલે તેમની વાત સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
યુવાનોની ક્રિએટિવિટીથી ડરવાની જરૂર નથી
સોનમ વાંગચુકે આ આંદોલનને લઈને ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે યુવાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે ખૂબ જ ક્રિએટિવ રીત અપનાવી છે. તેમણે કહ્યું કે “મને ખૂબ ખુશી છે કે આપણા યુવાનો આટલી સર્જનાત્મક રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ કોઈ ડરવાની કે ચિંતાની બાબત નથી.”
“હું સભ્ય નહીં બની શકું, પણ ઓનરરી કોકરોચ છું”
જ્યારે વાંગચુકને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ આંદોલનમાં સત્તાવાર રીતે જોડાશે? ત્યારે તેમણે હળવી મજાકમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું, “હું સભ્ય બનવા લાયક નથી, કારણ કે હું ન તો બેરોજગાર છું અને ન આળસુ છું. એટલે સભ્ય બની શકું નહીં. પરંતુ હું પોતાને ‘ઓનરરી કોકરોચ’ જરૂર માનું છું.”
સરકારને આપ્યો સીધો સંદેશ
વાંગચુકે સરકારને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે આ પ્રકારના વ્યંગાત્મક આંદોલનોને દબાવવાનો પ્રયાસ ન થવો જોઈએ. તેમણે કહ્યું, કે “સરકારે એ સંદેશ સમજવો જોઈએ, સંદેશ લાવનારને ના મારવો. જો મેસેન્જરને દબાવીશું તો પણ મેસેજ ખતમ નહીં થાય.” તેમણે આ બાબતને અખબારોના કાર્ટૂનિસ્ટ સાથે સરખાવતા સમજાવ્યું કે જેમ કોઈ કાર્ટૂનિસ્ટ વડાપ્રધાન કે મંત્રીઓનું કાર્ટૂન બનાવે તો તેને ગોળી મારી દેવામાં આવતી નથી, તેમ આ પણ વ્યંગ અને પ્રતિસાદનો એક પ્રકાર છે.
નેપાળનું ઉદાહરણ આપી ચેતવણી
વાંગચુકે નેપાળનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યારે ત્યાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર રોક લગાવવામાં આવી, ત્યારે યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસા ફાટી નીકળી. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવશે અને અવાજ દબાવવામાં આવશે, તો યુવાનોનો ગુસ્સો કોઈ પણ દિશામાં જઈ શકે છે.
“ભારતના યુવાનોનો માર્ગ વખાણવા લાયક”
વાંગચુકે ભારતીય યુવાઓની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓએ હિંસા કે પથ્થરબાજીનો માર્ગ અપનાવવાને બદલે ડિજિટલ ક્રિએટિવિટી દ્વારા વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, કે “મને આનંદ છે કે ભારતના યુવાઓએ પોતાની નારાજગીને સર્જનાત્મક રીતે વ્યક્ત કરી. બીજા દેશોની જેમ રસ્તા પર હિંસા કરવાનો રસ્તો પસંદ કર્યો નથી. આવી બાબતો જ ભારતને વિશ્વગુરુ બનાવે છે.”
પેપર લીક મુદ્દે પણ સરકારને ઘેર્યું
પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પણ વાંગચુકે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “પેપર લીક જેવા મુદ્દાઓ અત્યંત ગંભીર છે. ઘણા દેશોમાં તો આવા મામલાઓમાં મંત્રીઓ રાજીનામું આપી દેતા હોય છે. આ મુદ્દાઓને દબાવવા કરતાં તેના સંદેશને સમજવાની જરૂર છે.”


Leave a Comment