CBSE OSM controversy: CBSEના ઓન-સ્ક્રીન માર્કિંગ(OSM) સિસ્ટમને લઈને દેશભરમાં મચેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રીએ આ વિવાદ અને વિદ્યાર્થીઓને પડેલી હાલાકીની નૈતિક જવાબદારી સ્વીકારતા ખાતરી આપી છે કે, જો મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં. દિલ્હીમાં CBSEના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, હું આ સમગ્ર બાબતની જવાબદારી લઉં છું. આ ખામીઓને સુધારી લેવામાં આવશે અને તેનો યોગ્ય ઉકેલ શોધવામાં આવશે. અમે બધા અત્યારે આ જ કામ પર લાગેલા છીએ.
વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે વિરોધ?
છેલ્લા કેટલાક દિવસોથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સોશિયલ મીડિયાથી લઈને બોર્ડ સમક્ષ સતત ફરિયાદો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ઉત્તરવહીઓની જે સ્કેન કોપી ઓનલાઇન મળી રહી છે તે અત્યંત ધૂંધળી (blurred) અથવા અધૂરી છે. કેટલાક પ્રશ્નોના જવાબો તપાસ્યા વગરના જ છોડી દેવામાં આવ્યા છે અથવા માર્કિંગમાં મોટી ભૂલો થઈ છે. રી-ઇવેલ્યુએશન માટેની ઓનલાઇન પ્રોસેસ દરમિયાન પોર્ટલ ક્રેશ થવું, પેમેન્ટ ફેલ થવું અને મૂંઝવણભરી સ્થિતિ સર્જાવા જેવી ટેકનિકલ ખામીઓ સામે આવી છે.
40 કરોડ પાના સ્કેન કરાયા, શિક્ષણ મંત્રીએ સિસ્ટમનો બચાવ કર્યો
શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના માનસિક તણાવને સ્વીકારવાની સાથે સાથે બોર્ડના આ ડિજિટલ મોડલનો બચાવ પણ કર્યો હતો. તેમણે આંકડા આપતાં કહ્યું કે, પરીક્ષા આપનારા 17 લાખ વિદ્યાર્થીઓની અંદાજે 98 લાખ ઉત્તરવહીઓ સુરક્ષિત રાખવામાં આવી છે. દરેક આન્સર બુકમાં આશરે 40 પાના હોય છે, જે હિસાબે લગભગ 40 કરોડ પેજ સ્કેન કરવામાં આવ્યા છે. તેમણે OSM સિસ્ટમને એક પ્રગતિશીલ અને પારદર્શક માધ્યમ ગણાવ્યું હતું, જે વૈશ્વિક સ્તરે પણ સ્વીકારાયેલું છે.
વિવાદ પર શરૂ થઈ રાજનીતિ, રાહુલ ગાંધી પર પ્રહાર
CBSEનો આ મુદ્દો હવે એક મોટો રાજકીય વિવાદ બની ચૂક્યો છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકારની ઉત્તરદાયિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ પ્રક્રિયા સરકારી ખરીદીના તમામ નિયમોનું પાલન કરીને જ કરવામાં આવી છે. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું કે તેઓ હંમેશા ડિજિટલ ઇન્ડિયા અને વૈજ્ઞાનિક પ્રગતિ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનો વિરોધ કરે છે. પ્રધાને તમામ રાજકીય પક્ષોને અપીલ કરતાં કહ્યું કે, રાજનીતિ પછી પણ થઈ શકે છે. અત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો માનસિક તણાવ વધુ ન વધવો જોઈએ. નેતાઓએ એવા નિવેદનો આપવાથી બચવું જોઈએ જેનાથી માર્ક્સ વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશનની ચિંતામાં ડૂબેલા વિદ્યાર્થીઓનો ગભરાટ વધે.
ડેમેજ કંટ્રોલના પ્રયાસો
તંત્ર દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસોના ભાગરૂપે, CBSE એ સ્કેન આન્સર શીટ મેળવવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે અને જાહેર કર્યું છે કે વિષયના નિષ્ણાતો દ્વારા તમામ સાચી ફરિયાદોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.


Leave a Comment