લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Election Results Vote Split Hurts TMC BJP Wins 207 Seats

by

Thenewsdk

Updated: 18-05-2026, 11.33 AM

Follow us:

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Election Results Vote Split Hurts TMC BJP Wins 207 Seats




West Bengal Election Results: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભલે માત્ર એક જ રાજ્ય કેરળમાં જીત મેળવી શકી હોય, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીએ સાબિત કરી દીધું છે કે તેના વિના ‘INDIA’ ગઠબંધનના સાથી પક્ષો માટે જીત મેળવવી આસાન નથી. પશ્ચિમ બંગાળમાં આ વાત બિલકુલ સાચી સાબિત થઈ છે, જ્યાં ભાજપ વિરોધી મતોનું વિભાજન થવાના કારણે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને અંદાજે ત્રણ ડઝન જેટલી બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

એક ડઝનથી વધુ બેઠકો પર કોંગ્રેસે બગાડી TMCની રમત

ચૂંટણી પરિણામોના આંકડા દર્શાવે છે કે એક ડઝનથી વધુ બેઠકો પર કોંગ્રેસે સીધી રીતે તૃણમૂલ કોંગ્રેસની રમત બગાડી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં આમાંથી 10 બેઠકો ટીએમસી પાસે હતી. પરંતુ આ વખતે કોંગ્રેસને ટીએમસી અને ભાજપ વચ્ચેની જીતના તફાવત (માર્જિન) કરતાં પણ વધુ મતો મળ્યા છે. આ ઉપરાંત ટીએમસીએ નોટા (NOTA)ના કારણે પણ 6 બેઠકો ગુમાવવી પડી છે, જ્યાં કોંગ્રેસને નોટા કરતાં પણ વધુ મતો મળ્યા હતા.

પશ્ચિમ બંગાળની કુલ 294 વિધાનસભા બેઠકોમાંથી ટીએમસીના ખાતામાં માત્ર 80 બેઠકો આવી છે, જ્યારે ભાજપે 207 બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 2 અને લેફ્ટને 1 બેઠક મળી છે.

મુસ્લિમ મતોના વિભાજનથી ભાજપને ફાયદો

પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપને મુસ્લિમ મતોના વિભાજનનો સીધો ફાયદો મળ્યો છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુરની કુલ 43 બેઠકોમાંથી ભાજપે 20 બેઠકો પર જીત મેળવી છે. આ વિસ્તારોમાં મુસ્લિમ મતદારો કોંગ્રેસ, લેફ્ટ, ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ અને હુમાયુ કબીરની પાર્ટી વચ્ચે વહેંચાઈ ગયા. જ્યારે વર્ષ 2021ની ચૂંટણીમાં આ મતદારો ટીએમસીના પક્ષમાં એકજૂથ હતા, જેના કારણે તે સમયે ટીએમસીને 35 બેઠકો અને ભાજપને માત્ર 8 બેઠકો મળી શકી હતી.

લેફ્ટ પાસે હજુ પણ સાત ટકા વોટ બેન્ક

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં લાંબો સમય શાસન કરનાર લેફ્ટ ફ્રન્ટ પાસે આજે પણ અંદાજે 7 ટકા જેટલી વોટ બેન્ક મજબૂત છે. હાર બાદ ‘INDIA’ ગઠબંધનની દુહાઈ આપનારા પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ જો સમય રહેતા આ સમીકરણ સમજી લીધું હોત, તો તેમણે આ રીતે કારમી હારનો સામનો ન કરવો પડત. વિશ્લેષકોના મતે, ઘણી બધી બેઠકો એવી છે જ્યાં લેફ્ટ અને કોંગ્રેસને મળેલા મતો ટીએમસીની હારના તફાવત કરતાં ઘણા વધારે છે.

પ્રાદેશિક પક્ષોએ સ્થિતિ સમજવી પડશે: કોંગ્રેસ

આ પરિણામો બાદ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ વિપક્ષી દળો ફરી એકવાર એકજૂથ થાય અને નવા સિરેથી વ્યૂહનીતિ તૈયાર કરે. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પોતાની ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ તૈયાર છે, પરંતુ પ્રાદેશિક પક્ષોએ પણ જમીની હકીકત અને સ્થિતિને સમજવી પડશે. તમામ સાથી પક્ષોએ બહેતર તાલમેલ અને ભાગીદારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે, જેના માટે લોકસભાની સાથે-સાથે વિધાનસભામાં પણ એકજૂથતા હોવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: કેરલમથી લેફ્ટની વિદાય, હવે UDFનું શાસન, કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ

વિપક્ષી મતોના વિભાજનનો ઇતિહાસ

વિપક્ષી મતો વહેંચાઈ જવાનો સીધો ફાયદો ભાજપને મળ્યો હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા અને 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આના જીવતા જાગતા ઉદાહરણો છે. દિલ્હીમાં કોંગ્રેસને અંદાજે એક ડઝન બેઠકો પર હારના તફાવત કરતાં વધુ મતો મળ્યા હતા. તેવી જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના કારણે કોંગ્રેસને 39 બેઠકોનું ભારે નુકસાન થયું હતું. આ બેઠકો પર ‘આપ’ને ભાજપની જીતના માર્જિન કરતાં વધુ મતો મળ્યા હતા, જ્યારે ‘આપ’ને પોતાના ખાતામાં માત્ર ૫ બેઠકો જ મળી શકી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤