![]()
Kiara Advani on Post-Pregnancy: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘Toxic: A Fairytale for Grown-Ups’ને લઈને ચર્ચામાં છે. કિયારા અને તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ 15 જુલાઈ 2025ના રોજ તેમની પુત્રી ‘સરાયા મલ્હોત્રા’નું દુનિયામાં સ્વાગત કર્યું હતું. માતા બન્યાના લગભગ એક વર્ષ બાદ, કિયારાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં માતૃત્વની સફર, તેના પડકારો અને ડિલિવરી પછી મહિલાઓ પર આવતા શારીરિક-માનસિક દબાણ વિશે ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં કિયારાએ જણાવ્યું કે, માતા બન્યા પછી એક મહિલાના જીવનમાં કેવા આકરા બદલાવો આવે છે અને સમાજ તેની પાસેથી કેવી અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે.
ગર્ભાવસ્થા પછીના બદલાવો માટે કોઈ તૈયાર નથી કરતું: કિયારા
માતૃત્વના અનુભવો શેર કરતાં કિયારાએ કહ્યું, ‘મને નથી લાગતું કે લોકો તમને આ સ્થિતિ માટે ખરેખર તૈયાર કરે છે. હવે જ્યારે હું આ ડિલિવરી પછીના ગાળામાંથી પસાર થઈ ચૂકી છું, ત્યારે હું આ વિશે હળવાશથી વાત કરી શકું છું. હું મારી એવી બધી જ બહેનપણીઓને કહું છું જેઓ પહેલેથી માતા બની ચૂકી છે કે, તમે લોકોએ મને આના માટે કેમ તૈયાર નહોતી કરી? જો કે હું જાણું છું કે આ દરેક સ્ત્રીની વ્યક્તિગત સફર છે. જોકે ડિલિવરી પછી જે અપરાધભાવ તમે અનુભવો છો, અને તમારી અંદર તથા બહાર જે માનસિક ઉથલપાથલ મચે છે તેના વિશે કોઈ વાત નથી કરતું.’
આ દરમિયાન શરીરમાં થતા ફેરફારો વિશે વાત કરતા કિયારાએ કહ્યું કે, ‘શરૂઆતમાં આ ઉથલપાથલ તમારી અંદર હોય છે કારણ કે બાયોલોજિકલી તમારા શરીરમાં ઘણા બદલાવો થતા હોય છે, હોર્મોન્સ ક્રેશ થાય છે અને તમારી માનસિક સ્થિતિ સાવ અલગ હોય છે. આ ખરેખર જીવન બદલી નાખનારો અનુભવ છે. કુદરતે આ પ્રક્રિયા એવી બનાવી છે કે પિતાના જીવનમાં ભલે ગમે તેટલો બદલાવ આવે, પણ એક સ્ત્રી માટે તે ઘણો વધારે હોય છે કારણ કે તે બાળકને નવ મહિના પેટમાં રાખે છે, તેને જન્મ આપે છે અને તેને ફીડિંગ કરાવે છે.’
“ગર્ભાવસ્થામાં દેવી અને ડિલિવરી પછી નજરો બદલાય છે”
મહિલાઓ પર કામ પર પરત ફરવા અને વજન ઘટાડવા અંગે જે સામાજિક દબાણ હોય છે, તેના પર કિયારાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, ‘જ્યારે તમે ગર્ભવતી હોવ, ત્યારે બધા કહે છે, ‘ઓહ માય ગોડ, તારા ચહેરા પર કેવો ગ્લો છે, તું કેટલી સરસ લાગે છે.’
જો કે જેવી બાળકની ડિલિવરી થાય કે તરત જ લોકોના ટોન બદલાઈ જાય છે અને તેઓ કહેવા લાગે છે, ‘હવે તો તું જાડી લાગી રહી છે, આના જેવી લાગે છે ને તેના જેવી લાગે છે.’ પ્રેગ્નન્સી દરમિયાન તમને એક ‘દેવી’ ની જેમ જોવામાં આવે છે અને ડિલિવરી થતાં જ લોકો અપેક્ષા રાખે છે કે તમે તરત જ જૂના શેપમાં આવી જાઓ અને કામ પર પરત ફરો.”
કિયારાએ ભારપૂર્વક કહ્યું કે, ‘સ્ત્રી માટે સૌથી મુશ્કેલ સમય ડિલિવરી પછીનો હોય છે અને ત્યારે જ તેને સૌથી વધુ સપોર્ટની જરૂર હોય છે. કહેવત છે કે એક બાળકને ઉછેરવા માટે આખા ગામની જરૂર પડે છે, પણ હું કહીશ કે એક માતાને ઉછેરવા માટે પણ આખા ગામના સપોર્ટની જરૂર પડે છે.’
હવે ઘરમાં માત્ર પુત્રી સરાયાનું જ રાજ ચાલે છે
ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે કિયારાને પૂછવામાં આવ્યું કે પુત્રી સરાયાના આવ્યા પછી ઘરનું વાતાવરણ કેટલું બદલાયું છે? ત્યારે કિયારાએ હસતાં હસતાં એક રસપ્રદ ખુલાસો કર્યો. કિયારાએ કહ્યું, ‘ઓહ હા! હવે એ ઘર સરાયાનું છે, હું અને સિદ્ધાર્થ તો બસ તેમાં રહીએ છીએ! ટૂંકમાં કહું તો, ઘરના દરેક ખૂણામાં તેના રમકડાં અને પ્લેમેટ્સે કબજો જમાવી લીધો છે અને અમે બંને તેની આસપાસ જેમ-તેમ જગ્યા કરીને રહીએ છીએ.’
કિયારાએ છેલ્લે એ પણ ઉમેર્યું કે આ માતૃત્વની સફરે તેને એક વ્યક્તિ અને કલાકાર તરીકે વધુ પરિપક્વ બનાવી છે, અને હવે જે ડિરેક્ટર્સ તેની સાથે કામ કરશે, તેમને કિયારાનું સર્વશ્રેષ્ઠ વર્ઝન જોવા મળશે.


Leave a Comment