કન્નડ સિનેમાના સુપરસ્ટાર અને ‘KGF’ ફેમ એક્ટર યશ આગામી સમયની મોસ્ટ એન્ટેસિપેટેડ ફિલ્મ ‘રામાયણ’માં રાવણની દમદાર ભૂમિકામાં જોવા મળવાના છે. ભારતમાં ફિલ્મનો ટ્રેલર લોન્ચિંગ કાર્યક્રમ પાછળ ઠેલવાયા બાદ 23 જુલાઈના રોજ ફિલ્મના સ્ટાર્સ સેન ડિએગો કૉમિક-કોન ઈવેન્ટમાં સામેલ થયા હતા.
KGF સ્ટારે સેટ પર બનેલી રસપ્રદ વાત શેર કરી
આ ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂર અને યશે પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી. આ દરમિયાન ‘KGF’ સ્ટારે ખુલાસો કર્યો હતો કે, રાવણના પાત્રમાં ઢળવા માટે તેઓ સેટ પર શું કરતા હતા અને સેટ પર કેવો માહોલ સર્જતા હતા.
સેટ પર મોટેથી વગાડતા હતા શિવજીના ભજનો
યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે યશને પૂછવામાં આવ્યું કે, તેઓ સેટ પર રાવણના રોલમાં કેવી રીતે પ્રવેશતા હતા ત્યારે તેમણે જણાવ્યું કે, “મારો વજનદાર અને મોટો મુગટ મને દરરોજ આ રોલમાં ઢળવામાં મદદ કરતો હતો.” ત્યારબાદ ડાયરેક્ટર નિતેશ તિવારીએ તેમને સેટ પરની તેમની એક ખાસ આદત યાદ અપાવી હતી. આ અંગે વાત કરતાં રણબીર કપૂરે ઉમેર્યું હતું કે, યશ સેટ પર પોતે લાવેલા મોટા સ્પીકર્સ પર પોતાના મનપસંદ ગીતો મોટેથી વગાડતા હતા.
‘હું શિવજીના ગીતો અને ભજનો વગાડતો હતો’
આ અંગે યશે ખુલાસો કરતા કહ્યું કે, “હું મોટા-મોટા સ્પીકર્સ લાવતો હતો અને ફુલ વોલ્યુમમાં મ્યુઝિક વગાડતો હતો. હું બસ એ જ ધૂનમાં ખોવાયેલો રહેતો હતો. હું શિવજીના ગીતો અને ભજનો વગાડતો હતો, કારણ કે રાવણ ભગવાન શિવનો ખૂબ મોટો ભક્ત હતો. હું એ જ ભક્તિભાવમાં ડૂબી જવા માગતો હતો. સેટ પર સંગીત એટલું મોટેથી વાગતું હતું કે લોકોને એકબીજા સાથે વાત કરવામાં પણ મુશ્કેલી પડતી હતી.”




Leave a Comment