રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં 1 ઓગસ્ટે પણ CNGના ભાવમાં એકસાથે રૂ. 4નો વધારો કરવામાં આવ્યો હતો,
જેના કારણે રોજિંદો ખર્ચ વધુ વધી ગયો છે. અગાઉ ભાવવધારા બાદ રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ કમિશનર સાથેની બેઠક બાદ ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જાહેર ન થતાં રિક્ષાચાલકો વધારેલું ભાડું વસૂલ કરી શકતા નથી.
બે દિવસીય હડતાળની જાહેરાત
પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આજથી બે દિવસીય હડતાળ જાહેર કરવામાં આવી છે. સંગઠનનો દાવો છે કે શહેરના અંદાજે એક લાખ રિક્ષાચાલકો હડતાળમાં જોડાશે, જેના કારણે મોટી સંખ્યામાં રિક્ષાઓ રસ્તા પરથી ગાયબ રહેશે.
આવક પર સીધી અસર, સરકાર પાસે રાહતની માંગ
રિક્ષાચાલકોનું કહેવું છે, કે CNGના વધતા ભાવના કારણે તેમની રોજની આવકમાં મોટો ઘટાડો થયો છે. ઇંધણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે ભાડામાં વધારો અમલમાં આવી શકતો નથી.
આ પરિસ્થિતિમાં હજારો રિક્ષાચાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંગઠનોનું કહેવું છે, કે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે સરકાર અને CNG સપ્લાય કરતી કંપનીએ ભાવ ઘટાડવા અથવા ભાડા વધારાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.




Leave a Comment