6 ઓગસ્ટના રોજ સવારે આશરે 8 વાગ્યાના સુમારે કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક રહીશોને કચરાના એક મોટા ઢગલામાંથી તીવ્ર દુર્ગંધ અને અસામાન્ય ધુમાડો નીકળતો જણાયો હતો.
કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં જ્યારે લોકોએ નજીક જઈને તપાસ કરી તો કચરાના સળગતા ઢગલામાં નવજાત શિશુ પડ્યું હોવાનું નજરે પડ્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને ક્ષણભરમાં લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.
પોલીસે શરુ કરી આરોપીની શોધખોળ
આ ઘટના અંગે તાત્કાલિક બોટાદ પોલીસને જાણ કરવામાં આવતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માસૂમ બાળકને કચરામાં ફેંકી સળગાવવાનું આ અમાનુષી કૃત્ય કોણે આચર્યું, બાળકની જન્મદાતા કે વાલી કોણ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી (CCTV) ફુટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નિર્દયતાની તમામ હદો વટાવનાર આ ઘટનાથી બોટાદના નાગરિકોમાં ગુનેગારો સામે કડકમાં કડક સજાની માંગ ઉઠી છે.




Leave a Comment