લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું | Harami Nala Kutch India Pakistan border geography explainer

by

Thenewsdk

Updated: 31-05-2026, 04.28 PM

Follow us:

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું | Harami Nala Kutch India Pakistan border geography explainer



Harami Nala: Where Nature Plays Deceptive Turns: ભારતની સરહદ જ્યાં જ્યાં પાકિસ્તાનની સરહદને સ્પર્શે છે, એ વિસ્તાર હંમેશાંથી તણાવયુક્ત અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો રહ્યો છે. સામાન્ય રીતે આપણને સરહદ એટલે કાંટાળી તારની વાડ કે સૈનિકોની ચોકી જ યાદ આવે, પણ ગુજરાતના કચ્છ જિલ્લામાં એક એવી જગ્યા છે જે પોતાના અનોખા ભૌગોલિક સ્થાન અને ચોંકાવનારા નામ માટે જાણીતી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત-પાકિસ્તાન સરહદના સૌથી સંવેદનશીલ ગણાતા ‘હરામી નાળા’ વિસ્તારની મુલાકાત લીધી, ત્યારથી આ અજ્ઞાત અને દુર્ગમ જળ માર્ગ ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો. ચાલો સમજીએ કે આખરે આ ‘હરામી નાળું’ શું છે અને તેનું આવું નામ કેમ પડ્યું?

હરામી નાળું શું છે? 

હરામી નાળું એ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદિત ‘સર ક્રીક’ (Sir Creek) ક્ષેત્રમાં આવેલી 22 કિલોમીટર લાંબી એક સાંકડી ‘ભરતી ચેનલ’ (Tidal Channel) છે. આ વિસ્તારમાં બંને દેશો વચ્ચે દરિયાઈ સરહદને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે.

ભૌગોલિક દૃષ્ટિએ આ ચેનલ એક મોટા ખાડી નેટવર્કનો હિસ્સો છે. ભારત તરફ આવેલી ‘વિયાન વારી ખાડી’ ઉત્તર દિશામાં પાકિસ્તાન તરફ વહે છે, જ્યાં તે ‘હરામી ધોરો’ તરીકે ઓળખાય છે. ત્યાર પછી તે પૂર્વ તરફ વળાંક લઈને ભારતમાં પ્રવેશ કરે છે, જ્યાં તે ‘હરામી નાળું’ કે ‘હરામી નાલા’ તરીકે ઓળખાય છે. 

કળણનું રણ છે હરામી નાળું 

હરામી નાળું કળણ એટલે કે કાદવ-કીચડથી ભરેલા વિસ્તારમાં નાની-નાની નહેરોમાં વહે છે. આ જળ માર્ગ એટલો સાંકડો છે કે કેટલાક ભાગોમાં તેની પહોળાઈ માંડ 1.5 કિલોમીટર જેટલી જ છે. આ સમગ્ર વિસ્તાર કાદવથી ભરેલો છે અને કિનારા પર મેન્ગ્રોવના જંગલો આવેલા છે, જેને લીધે તેની અંદર સફર કરવી મુશ્કેલ બને છે.

‘હરામી નાળું’ નામ કેવી રીતે પડ્યું? 

‘હરામી’ શબ્દ સામાન્ય બોલચાલમાં એક અપશબ્દ ગણાય છે, પરંતુ આ જળ માર્ગના કિસ્સામાં આ નામ તેની ભૌગોલિક છેતરપિંડી અને વિશ્વાસઘાતી પ્રકૃતિને કારણે પડ્યું છે.

આ ખાડીનો પ્રવાહ ખૂબ જ ભ્રામક છે. અહીં ભરતી-ઓટની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને કાદવની વધઘટ ક્યાં, ક્યારે, કેટલી થશે એનો અંદાજ કોઈને આવતો નથી. ઓટના સમયે પાણી ઝડપથી ઓછું થઈ જતાં પાણી પર તરતી બોટ કાદવમાં ફસાઈ જાય છે. એવી બોટમાં ફસાયેલા લોકોને બચાવવા મુશ્કેલ બની જાય છે. નાળાના આવા છેતરામણા સ્વભાવને કારણે સ્થાનિકો તેને ‘હરામી’ કહેવા લાગ્યા. આ ઉપરાંત, આ દુર્ગમ રસ્તાનો લાભ ઉઠાવીને ભૂતકાળમાં પાકિસ્તાની ઘૂસણખોરો અને દાણચોરો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા રહ્યા છે, જેથી સુરક્ષા એજન્સીઓની નજરમાં પણ તે ‘બદમાશ ચેનલ’ સાબિત થઈ છે. આ જ કારણસર તેનું આવું નામ પડી ગયું છે. 

કુદરતી સંપત્તિ અને સુરક્ષાનો મોટો પડકાર 

હરામી નાળું દરિયાઈ જીવોથી ભરપૂર છે. ખાસ કરીને આ વિસ્તાર ‘ઝિંગા માછલી’ (Prawns) માટે પ્રખ્યાત છે. વધુ સારી માછલી મેળવવાની લાલચમાં ગુજરાત અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના હજારો માછીમારો આંતરરાષ્ટ્રીય સરહદની એકદમ નજીક આવી જાય છે. સર ક્રીક સરહદ વિવાદિત હોવાને કારણે ઘણીવાર પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ પણ કરવામાં આવે છે. બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ માટે આ વિસ્તાર માથાના દુખાવા સમાન છે. વિશાળ કળણ, સતત બદલાતા પ્રવાહો અને કઠિન ભૂપ્રદેશને કારણે અહીં ચોવીસ કલાક દેખરેખ રાખવી અત્યંત અઘરી છે. આ ભૌગોલિક નબળાઈનો ફાયદો ઉઠાવીને દેશવિરોધી તત્ત્વો ઘૂસણખોરી ન કરે તે માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ સખત જાપ્તો રાખે છે.

ગૃહ મંત્રાલય દ્વારા અપાતા મહત્ત્વનું કારણ

26 મેથી શરૂ થયેલા દેશવ્યાપી સરહદ સમીક્ષા પ્રવાસ હેઠળ ગૃહ મંત્રી અમિત શાહે 29 મે ના રોજ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ગુજરાતનો આ અનોખો વિસ્તાર વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે, જેથી અહીં ખાસ પ્રકારના પ્રોજેક્ટે આકાર લીધો છે. અહીં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ (BOP) G-7ની શરૂઆત કરાઈ છે.  અહીં કંટ્રોલ રૂમ ધરાવતા ઓપરેશનલ ટાવર (OP Tower)ની પણ સુવિધા છે. ગૃહ મંત્રાલયના મતે, આ દુર્ગમ વિસ્તારમાં મજબૂત સિક્યોરિટી ગ્રીડ તૈયાર કરવા માટે સરકારે ઘણાં ટેકનિકલ પડકારો પાર કર્યા છે. હવે G-7 તથા G-13 જેવા પ્રોજેક્ટ્સ હેઠળ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત મજબૂત બનાવશે.

નાળા પર નજર રાખવી અનિવાર્ય છે 

ભારત સરકાર માટે હરામી નાળું એ માત્ર કોઈ અંતરિયાળ ખાડી નથી, પરંતુ એક અત્યંત વ્યૂહાત્મક પ્રવેશદ્વાર છે જ્યાં ભૂગોળ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની પશ્ચિમ સરહદને અડીખમ રાખવા માટે આ છેતરામણા જળમાર્ગ પર લોખંડી નજર રાખવી અનિવાર્ય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤