વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા આપી હોવા છતા ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ બુધવારે દેખાવો કર્યા હતા અને આ દરમિયાન ડીન પર હુમલો કર્યો હતો.જેના વિરોધમાં આજે ફેકલ્ટીના અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી હતી.
અધ્યાપકોએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.આજે ત્રીજા દિવસે ૧૨૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા.આમ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં અત્યાર સુધીમાં ૩૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.
દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, પ્રવેશ પરીક્ષા આપી હોવા છતા ગેરહાજર દર્શાવાયા હોય તેવા ૫૦૦ વિદ્યાર્થીઓની જાણકારી અમને મળી છે.આ તમામ વિદ્યાર્થીઓનો ફેકલ્ટી દ્વારા સંપર્ક કરાયો છે.આ સિવાય જો કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમણે જીકાસ અને એમ.એસ.યુનિવર્સિટીના પોર્ટલ એમ બંને જગ્યાએ ફોર્મ ભરીને પ્રવેશ પરીક્ષા આપી હોય અને એ પછી મેરિટ લિસ્ટ કે વેઈટિંગ લિસ્ટમાં નામ ના આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ આવતીકાલ, તા.૫ જૂન, શુક્રવારે સવારે ૧૦ થી ૨માં કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે હેલ્પ લાઈન ડેસ્કનો સંપર્ક કરે.



Leave a Comment