વડોદરા, તા.17 સાવલી તાલુકાના લોટના દૂધ મંડળીના તત્કાલીન મંત્રીએ ડેરીના સાડા છ લાખ રૃપિયા બેંકમાં જમા કરાવવાના બદલે બારોબાર વાપરી નાંખ્યા હતાં.
લોટના સહકારી દૂધ મંડળીના પ્રમુખ ઉપેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણે સાવલી પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું લોટના સહકારી દૂધ મંડળીના પ્રમુખ તરીકે કામ કરૃ છું તેમજ મંડળીની કમિટિમાં કુલ ૯ સભ્યો છે. મંડળીના એક સભ્ય હિંમતસિંહ પરમારે અગાઉ આક્ષેપો કર્યા હતાં કે ડેરીમાં મોટી ઉચાપત થઇ છે અને કમિટિના સભ્યો કશું કરતા નથી જેથી મારે ડેરીના સભ્ય તરીકે રહેવું નથી તેમ કહી ચાર મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું.
દરમિયાન મંડળીના ઓડીટમાં એવી વિગતો બહાર આવી હતી કે મંત્રી લાલસિંહ અર્જુનસિંહ પરમાર (રહે.હરસિધ્ધિમાતા મંદિર પાછળ, લોટના)એ ડેરીના રૃા.૬.૫૦ લાખ રોજમેળ રજિસ્ટરમાં બંધ સિલકની નોંધ કરી હતી પરંતુ તે પૈસા બેન્કમાં જમા કરાવ્યા ન હતાં. આ અંગે મંત્રીને વારંવાર કહેવા છતાં પણ તેઓ પૈસા જમા કરાવતા ન હતાં જેથી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ થયો હતો. પોલીસે લાલસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Leave a Comment