![]()
Virat Kohli out of Afghanistan Series: અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થઈ રહેલી આગામી વન-ડે શ્રેણી પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર અને રન-મશીન બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઇજાના કારણે આ આગામી વન-ડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિંગ કોહલી આ મહત્ત્વપૂર્ણ શ્રેણીમાં રમી શકશે નહીં.
બીસીસીઆઈ ટૂંક સમયમાં જ કોહલીની ઈજા અંગે સત્તાવાર હેલ્થ અપડેટ જાહેર કરી શકે છે અને તેની સાથે જ વિરાટના સ્થાને કયા ખેલાડીને ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે જગ્યા મળશે તેની પણ જાહેરાત કરાશે. કોહલી જેવા દિગ્ગજની જગ્યા લેવા માટે હાલમાં 4 યુવા ખેલાડીઓના નામ સૌથી મોખરે ચાલી રહ્યા છે, જેના પર પસંદગીકારોની નજર રહેશે.
1. યશસ્વી જયસવાલ
ડાબોડી ઓપનર યશસ્વી જયસવાલ છેલ્લા કેટલાક સમયથી ભારતીય વન-ડે ટીમનો નિયમિત ભાગ રહ્યો છે, પરંતુ આ અફઘાનિસ્તાન શ્રેણીની મુખ્ય ટીમમાં તેને તક મળી ન હતી. વર્ષ 2025માં ઇંગ્લેન્ડ સામે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા જયસવાલે ભારત માટે 4 વન-ડે મેચ રમી છે, જેમાં તેના નામે એક શાનદાર સદી પણ નોંધાયેલી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અદભુત રેકોર્ડ ધરાવતો જયસવાલ વિરાટ કોહલીની ગેરહાજરીમાં નંબર-3 પર એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સિવાય, કેપ્ટન રોહિત શર્માના રમવા પર પણ સસ્પેન્સ હોવાથી જો હિટમેન બહાર થાય તો જયસવાલ ઓપનિંગની જવાબદારી પણ સંભાળી શકે છે.
2. સાઈ સુદર્શન
IPL 2026માં ગુજરાત ટાઇટન્સ તરફથી પોતાના બેટથી ધમાલ મચાવનાર સાઈ સુદર્શનની પણ ભારતીય વન-ડે ટીમમાં વાપસી થઈ શકે છે. વર્ષ 2023માં ભારત માટે વન-ડે ડેબ્યૂ કરનાર સુદર્શન પોતાની ક્લાસિક અને ઉત્તમ બેટિંગ ટેકનિક માટે જાણીતો છે. જોકે, તેને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી માત્ર 3 જ મેચ રમવાની તક મળી છે, પરંતુ આ સીમિત તકોમાં પણ તેણે 63.5ની શાનદાર એવરેજથી 127 રન બનાવીને પોતાની પ્રતિભા સાબિત કરી દીધી છે.
3. દેવદત્ત પડિકલ
RCBના સ્ટાર બેટ્સમેન અને આઈપીએલમાં વિરાટ કોહલીના સાથી રહી ચૂકેલા દેવદત્ત પડિકલ પણ નંબર-3 માટે એક શાનદાર દાવેદાર છે. પડિકલનું ફોર્મ માત્ર IPL 2026માં જ સારું રહ્યું છે એવું નથી, પરંતુ તેણે ઘરેલું ક્રિકેટની વિજય હજારે ટ્રોફીમાં પણ રનનો પહાડ ખડક્યો હતો. તે ટૂર્નામેન્ટની 9 મેચોમાં 90.62ની આકાશી સરેરાશથી 725 રન બનાવીને સમગ્ર ટૂર્નામેન્ટમાં બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો હતો.
આ પણ વાંચો: બંગાળમાં શુભેન્દુ સરકાર બનતા જ સૌરવ ગાંગુલીને ઝટકો! મમતા સરકારનો નિર્ણય કર્યો રદ
4. ઋતુરાજ ગાયકવાડ
આ યાદીમાં ચોથું અને સૌથી મોટું નામ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું છે. ગાયકવાડે વર્ષ 2022માં ભારત માટે વન-ડે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી બ્લુ જર્સીમાં 9 વન-ડે મેચ રમીને 228 રન બનાવ્યા છે. તાજેતરમાં જ તેની પસંદગી ભારત-A ટીમમાં પણ કરવામાં આવી છે, જ્યાં તેણે ઈજાગ્રસ્ત રિયાન પરાગનું સ્થાન લીધું છે. હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલીની આ અણધારી ઈજા બાદ પસંદગીકારો ઋતુરાજ ગાયકવાડની સિનિયર ટીમમાં એન્ટ્રી કરાવે છે કે અન્ય કોઈ યુવા ખેલાડી પર ભરોસો મૂકે છે.



Leave a Comment