Raghu Sharmas Jai Shri Ram note: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં સોમવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમ એક યાદગાર અને ભાવુક ક્ષણનું સાક્ષી બન્યું. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન 33 વર્ષીય લેગ સ્પિનર રઘુ શર્માએ પોતાની IPL કરિયરની પ્રથમ વિકેટ ઝડપી, પરંતુ તેની ઉજવણી વધુ ચર્ચામાં રહી.
અનોખી ઉજવણી બની ચર્ચાનો વિષય
વિકેટ મેળવ્યા બાદ રઘુ શર્માએ અભિષેક શર્માની લોકપ્રિય ‘નોટ સેલિબ્રેશન’ સ્ટાઈલને ફરી જીવંત કરી. તેણે ખિસ્સામાંથી કાગળ કાઢીને પ્રેક્ષકો સામે બતાવ્યો, જેમાં લખેલું હતું,
‘રાધે રાધે… ખૂબ જ પીડાદાયક 15 વર્ષ. ગુરુદેવની દૈવી કૃપાથી આજે તેનો અંત આવ્યો. આ તક આપવા બદલ મુંબઈ ઈન્ડિયન્સનો આભાર. જય શ્રી રામ.’
આ ક્ષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને ચાહકોને તેની પાછળની લાગણીસભર કહાની સ્પર્શી ગઈ.
15 વર્ષના સંઘર્ષનું ફળ
રઘુ શર્માની આ સફળતા સહેલાઈથી મળી નથી. તેણે લગભગ 15 વર્ષ સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં મહેનત કરી છે. શરૂઆતમાં તે ફાસ્ટ બોલર હતો, પરંતુ બાદમાં પોતાની શૈલી બદલીને લેગ સ્પિન અપનાવી. આ નિર્ણય તેના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
મુંબઈ ઈન્ડિયન્સે તેને 2025માં રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તે સમયે તેને રમવાની તક મળી નહોતી. 2026ની સીઝનમાં ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ દાખવી તેને રિટેન કર્યો અને અંતે તેને પોતાને સાબિત કરવાની તક મળી.
મેચમાં પ્રદર્શન
આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં રઘુએ ડેબ્યુટન્ટ અક્ષત રઘુવંશીને આઉટ કરીને પોતાની પ્રથમ IPL વિકેટ મેળવી. તેણે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ ઝડપી.
ઋષભ પંત અને એડેન માર્કરામ જેવા આક્રમક બેટર્સ સામે તેણે સંયમિત બોલિંગ કરી. લખનૌએ મુકેલા 229 રનના વિશાળ લક્ષ્યાંકને મુંબઈએ રોહિત શર્મા અને રાયન રિકેલ્ટનની શાનદાર બેટિંગથી સફળતાપૂર્વક ચેઝ કર્યો.




Leave a Comment