Vadodara Cyber Crime: શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓએ જામીન અરજી મૂકતાં અદાલતે ચારેય અરજદારોની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આવા ગુનાઓથી ઓનલાઈન વ્યવહારો પરથી લોકોનો વિશ્વાસ ડગી જાય છે, જે દેશની પ્રગતિ અને અર્થતંત્ર પર માઠી અસર કરે છે.
કેસની વિગત એવી છે કે, સિનિયર સિટીઝન રાકેશભાઈ સાથે નવેમ્બર-2025 થી જાન્યુઆરી-2026 દરમિયાન વોટ્સએપ ગ્રુપ અને ડમી વેબસાઇટ દ્વારા સેબી (SEBI) રજીસ્ટર્ડના ખોટા દસ્તાવેજો બતાવી શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડની છેતરપિંડી આચરાઈ હતી. આ બનાવ અંગે તારીખ 29 એપ્રિલના રોજ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઈરફાન મેમણ, યાસીનખાન પઠાણ, પાર્થ બારડ અને ફેઝાન શેખની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓએ જામીન અરજી મૂકી હતી અને બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, મોબાઈલ નંબર આરોપીઓના નથી અને તેમનો ફરિયાદી સાથે સીધો કોઈ સંપર્ક નથી. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી બનાવટી દસ્તાવેજોના આધારે રૂપિયા 1 કરોડની જંગી રકમની છેતરપિંડી આચરી હોવાથી સમાજના હિતમાં આરોપીઓને જામીન આપી શકાય નહીં. ન્યાયાધીશે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચારેય આરોપીઓની અરજી નામંજૂર કરી હતી.


Leave a Comment