![]()
Rishabh Pant Leave Captaincy: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે IPL 2026ની સીઝન સંપૂર્ણપણે નિરાશાજનક સાબિત થઈ છે. સતત ખરાબ પ્રદર્શન બાદ હવે આ ફ્રેન્ચાઇઝીમાં મોટા ફેરફારો થવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. આ કડીમાં સૌથી મોટો આંચકો આપતાં ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતે કેપ્ટનશિપ છોડી દીધી છે. એટલું જ નહીં, અહેવાલો મુજબ ફ્રેન્ચાઇઝી આગામી સીઝન પહેલાં પંતને ટીમમાંથી રિલિઝ કરવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરી રહી છે. બીજી તરફ, વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટર નિકોલસ પૂરનને ટીમમાં જાળવી રાખવાની સંભાવનાઓ ખૂબ જ મજબૂત બની છે.
27 કરોડનો સૌથી મોંઘો દાવ રહ્યો નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે, IPL 2025ની મેગા હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયાની સર્વોચ્ચ કિંમતે ખરીદ્યો હતો, જે તેને IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવે છે. ફ્રેન્ચાઇઝીએ માત્ર મોટી રકમ જ નહોતી ખર્ચી, પરંતુ ટીમની કમાન પણ પંતના હાથમાં સોંપી હતી. મેનેજમેન્ટને આશા હતી કે પંતના નેતૃત્વમાં LSG પ્રથમ વખત IPL ટ્રોફી જીતશે, પરંતુ આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
પંતની કેપ્ટનશિપમાં ટીમનું કંગાળ પ્રદર્શન
પંતના નેતૃત્વમાં લખનૌની ટીમનું પ્રદર્શન સતત કથળતું ગયું. IPL 2025માં LSG પોઇન્ટ્સ ટેબલમાં 7મા ક્રમે રહીને પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ ચાલુ સીઝન એટલે કે IPL 2026માં સ્થિતિ વધુ બદતર બની ગઈ. ટીમે 14 મેચોમાંથી માત્ર 4માં જીત મેળવી, જ્યારે 10 મેચોમાં શરમજનક હારનો સામેલ કરવો પડ્યો. પરિણામે, LSG પોઇન્ટ્સ ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા સ્થાને રહી હતી.
છેલ્લી બે સીઝનના આંકડાઓ પર નજર કરીએ તો, પંતની કેપ્ટનશિપ હેઠળ LSGએ કુલ 28 મેચ રમી, જેમાંથી ટીમ માત્ર 10 મેચ જીતી શકી અને 18માં તેને પરાજય વેઠવો પડ્યો. આ આંકડા ફ્રેન્ચાઇઝીના સ્ટાન્ડર્ડ કરતાં ઘણા નીચા છે.
બેટિંગ ફ્લોપ થતાં પંતે પોતે લીધો નિર્ણય
મોટી પ્રાઇસ ટેગ અને કેપ્ટનશિપના દબાણ હેઠળ રિષભ પંત બેટિંગમાં પણ અપેક્ષા મુજબનું યોગદાન આપી શક્યો નહોતો. અનેક નિર્ણાયક મેચોમાં તેની કેપ્ટનશિપ અને બેટિંગ શૈલી બંને પર સવાલો ઉઠ્યા હતા. આ જ કારણ છે કે પંતે પોતે જ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે.
ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, પંતે પોતાની ઇચ્છાથી કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થવાની વિનંતી કરી હતી, જેને મેનેજમેન્ટે સ્વીકારી લીધી છે. LSGના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ પણ સ્વીકાર્યું કે, નેતૃત્વના અતિશય દબાણને લીધે પંત પોતાની સ્વાભાવિક રમત રમી શક્યો નહોતો અને હવે ટીમને એક નવી દિશા તેમજ નવા માળખાની જરૂર છે.
પંતનું ભવિષ્ય ધૂંધળું, નિકોલસ પૂરન પર ભરોસો યથાવત
એક અહેવાલ મુજબ, કેપ્ટનશિપ છોડ્યા બાદ પણ લખનૌની ટીમમાં રિષભ પંતનું ભવિષ્ય સુરક્ષિત નથી. ટીમ મેનેજમેન્ટ આગામી સીઝન માટે ખેલાડીઓની યાદીનું પુનર્મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો મોટો નિર્ણય લેવાશે તો પંત આગામી હરાજીમાં જોવા મળી શકે છે.
બીજી તરફ, ફ્રેન્ચાઇઝી નિકોલસ પૂરનને લઈને અલગ વ્યૂહરચના ધરાવે છે. ભલે IPL 2026માં પૂરનનું પ્રદર્શન સાતત્યપૂર્ણ ન રહ્યું હોય, પરંતુ મેચનો રુખ પલટવાની તેની આક્રમક ક્ષમતા પર મેનેજમેન્ટને પૂરો ભરોસો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, LSG આગામી સીઝન માટે પોતાની જે ‘કોર ટીમ’ તૈયાર કરવા માંગે છે, તેમાં નિકોલસ પૂરનનું નામ સૌથી મોખરે છે. તેથી તેને રિલિઝ કરવાની શક્યતા નહિવત છે.
આ પણ વાંચો: સદીનો હીરો કે કિસ્મતનો વિલન? જાણો કેમ વૈભવ સૂર્યવંશી બન્યો IPLનો સૌથી અનલકી પ્લેયર
IPL 2027 પહેલાં જોવા મળશે ‘નવી લખનૌ’
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે IPL 2027 પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના ક્લેવરમાં મોટા ફેરફારો થશે. ટીમ હાલમાં એક મજબૂત અને નવા કેપ્ટનની શોધમાં છે. હાલની પરિસ્થિતિ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે કરોડોના આસામી રિષભ પંત આગામી સીઝનમાં લખનૌની જર્સીમાં જોવા મળશે કે નહીં, તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે.


Leave a Comment