અમદાવાદના વટવા વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતો બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉછીના આપેલા એક લાખ રૂપિયા પરત લેવા માટે ધર્મની બહેને પોતાના ધર્મના ભાઈની નવજાત બાળકીનો સોદો કરી દીધો હોવાનો આરોપ સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, બાળકીના માતા-પિતાએ રિક્ષા લેવા માટે આરોપી મહિલા પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને બાદમાં એ જ ઉછીના રૂપિયાની આડમાં નવજાત બાળકી સાથે સોદાબાજી કરવામાં આવી હતી.
એક લાખની ઉઘરાણી વચ્ચે નવજાત બાળકી પર નજર
વટવામાં રહેતી 19 વર્ષીય રાધાબહેન ચારણે હાથીજણ પંચરત્ન ફ્લેટમાં રહેતી જાગૃતિબહેન સુથાર સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉ રાધાબહેન અને તેમનો પરિવાર આરોપી મહિલાના પડોશમાં રહેતો હતો અને ફરિયાદી મહિલાના પતિએ આરોપી મહિલાને ધર્મની બહેન બનાવી હતી.
ચાર મહિના પહેલા ફરિયાદી મહિલાના પતિએ રિક્ષા ખરીદવા માટે આરોપી મહિલા પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. બાદમાં પરિવાર વટવા રહેવા ચાલ્યો ગયો હતો. 3 જૂન 2026ના રોજ ફરિયાદી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન આરોપી મહિલા વારંવાર રૂપિયા પરત માંગતી હતી, પરંતુ આર્થિક તંગીના કારણે પરિવાર માત્ર વાયદા જ કરી શકતો હતો.
‘બાળકી સારા ઘરમાં જશે’ કહી લાલચ, પછી વેચી નાખ્યાનો આરોપ
ફરિયાદ મુજબ, બાળકીને જન્મના આશરે 20 દિવસ બાદ આરોપી મહિલાએ માતા-પિતાને બાળકી માંગતા કહ્યું હતું, કે તેમને એક લાખ રૂપિયા લેવાના છે અને તે સિવાય વધુ એક લાખ પણ આપશે, સાથે બાળકી સારા ઘરમાં જશે તેવી લાલચ આપી હતી.
લગભગ 10 દિવસ પહેલા આરોપી મહિલા બાળકીને રમાડવાના બહાને પોતાના સાથે લઈ ગઈ હતી અને સાંજે પાછી આપી દેશે એવું કહ્યું હતું. પરંતુ જ્યારે માતા-પિતા બાળકી લેવા માટે આરોપી મહિલાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જણાવાયું, કે બાળકી વેચી દેવામાં આવી છે અને ઉછીના આપેલા એક લાખ રૂપિયા પરત આપશો તો જ બાળકી પાછી મળશે.
પોલીસના ડરથી બાળકી પરત, તપાસમાં દોઢ લાખનો સોદો બહાર આવ્યો
મામલો ગંભીર બનતા બાળકીને માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ ફરિયાદના ડરથી આરોપી મહિલાએ બાળકી પરત આપી દીધી હતી. ત્યારબાદ થયેલી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું, કે નડિયાદમાં રહેતા એક નિ:સંતાન દંપતિને આ નવજાત બાળકીનો દોઢ લાખ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાળ તસ્કરી, છેતરપિંડી અને અન્ય સંબંધિત કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.




Leave a Comment