અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્રે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે આજે સમગ્ર રથયાત્રા રૂટ પર મેગા મોક ડ્રિલ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિહર્સલ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જાતે હાજર રહી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી.
ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં મેગા રિહર્સલ
પોલીસ કમિશનર (CP), જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) તેમજ તમામ ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) કક્ષાના અધિકારીઓની હાજરીમાં યોજાયેલા આ રિહર્સલમાં 2000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો જોડાયા. નિર્ધારિત પ્લાન મુજબ, સમગ્ર રૂટ પર જવાનોને તૈનાત કરીને કટોકટીની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીનું જીવંત નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
જગન્નાથ મંદિરથી સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ
જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ રથયાત્રાના પરંપરાગત સમગ્ર રૂટ પર યોજાશે. રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની છે, તે તમામ સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે, જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
SRP અને RAF સહિતની વિશેષ ટુકડીઓ પણ તૈનાત
સ્થાનિક પોલીસ ઉપરાંત, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ની વિશેષ ટુકડીઓ પણ રિહર્સલમાં ભાગ લઈ રહી છે. કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવશે.




Leave a Comment