જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક આજે (11 જુલાઈ) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના પરિવારની કાર હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
બંધ ટ્રકમાં કાર ઘૂસતા સર્જાયો ભયાનક અકસ્માત
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે કારમાં સોમનાથ જઈ રહ્યો હતો. દરમિયાન જૂનાગઢના મજેવડી ગામ નજીક ફોરટ્રેક રોડ પર કાર ચાલકનું ધ્યાન હાઈવે પર ઉભેલી બંધ ટ્રક તરફ ન જતા કાર પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત બાદ હાઈવે પર અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સોમનાથ જતા પરિવાર પર તૂટેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.




Leave a Comment