અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ વચ્ચે હવે એક નવું સંકટ સામે આવ્યું છે. મંદિરમાં આવતી દાન રકમની ગણતરીનું કામ કરતા 23 કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે.
આ અચાનક લેવાયેલા નિર્ણયથી દાન ગણતરીની કામગીરી પર સીધી અસર પડી છે. ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ કામ પર હાજર રહ્યા હતા, જેના કારણે રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી ગઈ હતી.
કર્મચારીઓએ રાજીનામું શા માટે આપ્યું?
રાજીનામું આપનાર એક કર્મચારીના મુજબ, દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે અગાઉ ચાલતી બે શિફ્ટને ઘટાડીને એક જ શિફ્ટ રાખવામાં આવી હતી. જેના કારણે 6 કલાકની ડ્યુટી વધીને 9 કલાક સુધી પહોંચી ગઈ હતી. હવે કર્મચારીઓને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત કામ કરવું પડતું હતું.
પગાર ઘટાડો પણ બન્યો મોટો મુદ્દો
કર્મચારીઓનો આક્ષેપ છે, કે અગાઉ તેમને દર મહિને 14,755 રૂપિયાનો ફિક્સ પગાર મળતો હતો, પરંતુ બાદમાં તે ઘટાડીને કોઈને 8 હજાર તો કોઈને 11 હજાર રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો. આ સાથે જ રજાઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, જેને લઈને કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
માગણીઓ ન સંતોષાતા સામૂહિક રાજીનામું
બુધવારે સાંજે કામ પૂર્ણ થયા બાદ કર્મચારીઓએ એકત્ર થઈ કામના કલાકો અને પગાર ફરી પહેલા જેવા કરવાની માંગ સાથે SBIની તુલસી ઉદ્યાન શાખાના અધિકારીઓ અને સૈનિક સિક્યોરિટીના સુપરવાઇઝર સમક્ષ રજૂઆત કરી હતી.
પરંતુ તેમની માંગ સ્વીકારવામાં ન આવતા 23 કર્મચારીઓએ હસ્તાક્ષર સાથે સામૂહિક રાજીનામું આપી દીધું હતું. ગુરુવારે સવારે કર્મચારીઓ કામ પર ન આવતા બેંક અને ટ્રસ્ટ તંત્રમાં હડકંપ મચી ગયો હતો.
નવી ભરતીમાં લાગી શકે સમય
બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે તાજેતરમાં દાન ચોરીનો મામલો સામે આવતા હવે નવા કર્મચારીઓને પોલીસ વેરિફિકેશન બાદ જ રાખવામાં આવશે,
જેના કારણે ભરતી પ્રક્રિયામાં સમય લાગી શકે છે. બીજી તરફ, બેંકના કેટલાક અધિકારીઓનું કહેવું છે, કે આટલા મોટા સ્ટાફની હવે જરૂરિયાત નહોતી.
ટ્રસ્ટની બેઠક પર પણ નજર
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યવાહક મહામંત્રી કૃષ્ણ મોહને ટ્રસ્ટ અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સાથે મણિરામ છાવણી મંદિરે મુલાકાત કરી હતી. પદ સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી, પરંતુ આ બેઠકને પણ કર્મચારીઓના સામૂહિક રાજીનામાના મામલા સાથે જોડીને જોવામાં આવી રહી છે.




Leave a Comment