અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનામાં કરુણાંતિકા સર્જાઈ છે. આ ભયાનક હોનારતમાં જીવ ગુમાવનાર દાહોદ જિલ્લાના 7 શ્રમિકોના મૃતદેહોને આજે તેમના વતન લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના 7 સભ્યોના અકાળે અવસાન થતાં સમગ્ર દાહોદ જિલ્લા સહિત તેમના વતનમાં શોકની ભારે કાલીમા છવાઈ ગઈ છે.
આ કરુણ બનાવની વિગત અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના 7 સભ્યો અમદાવાદના રામોલ સ્થિત ફટાકડા ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યાં અચાનક થયેલા ધમાકામાં તમામના કરુણ મોત નિપજ્યા હતા.
મૃતદેહ પહોંચતા જ હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા
આજે જ્યારે 7 મૃતકોના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને ગોવિંદાતળાઈ ગામે પહોંચ્યા ત્યારે પરિવારજનો અને ગ્રામજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે એક જ ઘરના સાત-સાત સભ્યોની નનામી નીકળતા આખું ગામ આસુ સારે તેવા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
તંત્ર દ્વારા સાંત્વના અને કાનૂની કાર્યવાહી
આ ભયાનક દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું.
આ ઘટનાના પગલે સંજેલીના મામલતદાર, સ્થાનિક પોલીસ વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો મૃતકોના નિવાસસ્થાને દોડી ગયો હતો. અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી અને આ અંગે જરૂરી સરકારી તથા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
રોજીરોટી કમાવવા ગયેલા પરિવારના 7 સભ્યોના એકસાથે આ રીતે અકાળે અવસાન થતાં માત્ર ગોવિંદાતળાઈ ગામ જ નહીં, પરંતુ સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી છે.




Leave a Comment