અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીનું આપઘાતથી મોત થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. 14 સપ્ટેમ્બરે નાઈટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ ઘરે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હતા
જ્હાનવીબેન અનિલભાઈ ડાભી સેક્ટર-3ડી ખાતે રહેતા હતા અને અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 14 સપ્ટેમ્બરની રાત્રે નાઈટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગરમાં પોતાના ઘરે પરત આવ્યા હતા. મોડે સુધી તેઓ રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ આસપાસના લોકોની મદદથી રૂમમાં તપાસ કરતાં જ્હાનવીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, કે 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા. જો, કે તેમણે આત્યંતિક પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જ્હાનવીબેનને રીલ્સ બનાવવાનો પણ શોખ હતો અને સોશિયલ મીડિયા પર તેમના 25 હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું જાણવા મળ્યું છે.
પરિવાર, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ શરૂ
સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી ઘટનાના સંજોગો અને આપઘાત પાછળનું કારણ જાણી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસની વિગતવાર તપાસ બાદ જ સમગ્ર મામલાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.



