ભાવનગર શહેરમાં કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે વધુ એક શખ્સનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરમાં રહેતા રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું અઠવાડિયા અગાઉ અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તેમના મૃતદેહના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ મામલે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને વિસેરા રિપોર્ટ સામે આવતાં જ મોટી બાબતનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ભાવેશનું મોત સામાન્ય કારણોસર નહીં પરંતુ કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે જ થયું હતું.
FSL રિપોર્ટ આવતાં જ પોલીસ એક્શનમાં
રિપોર્ટના આધારે ઘોઘારોડ પોલીસ મથકના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
આ કેસમાં સંજય અને મુકેશ પટેલ નામના બે શખ્સોની સંડોવણી સામે આવી છે. આ બંને આરોપીઓ પાસે ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલમાં ભરેલો નકલી અને અત્યંત ઝેરી દારૂ હતો. આ એ જ જીવલેણ કેમિકલયુક્ત દારૂ હતો જેના કારણે અગાઉ અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા હતા.
દારૂ ઝેરી હોવાની પૂરી જાણ હોવા છતાં ભાવેશને પીવડાવ્યો
પોલીસની તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે આરોપી સંજયે પોતે પણ અગાઉ આ નકલી દારૂ પીધો હતો અને તેની તબિયત લથડતાં તેણે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ ઉપરાંત, આ ઝેરી દારૂ પીવાથી ભૂતકાળમાં 14 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે તે વાતથી બંને આરોપીઓ મુકેશ અને સંજય પૂરેપૂરા વાકેફ હતા. આમ છતાં, આ બંને શખ્સોએ જાણી જોઈને અને પરિણામની પરવા કર્યા વગર ભાવેશભાઈને તે જ જીવલેણ ઝેરી દારૂ પીવા માટે આપ્યો હતો.
ગુનાહિત માનવવધ નહીં પણ સીધો હત્યાનો ગુનો નોંધાયો
આરોપીઓની આ બિનજવાબદાર અને ઘાતક હરકતને પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી છે. દારૂ ઝેરી છે અને તેનાથી મોત થઈ શકે છે તેવું સ્પષ્ટ જાણવા છતાં કોઈને તે દારૂ પીવડાવવો એ સીધો જ જીવ લેવાનો ગુનો બને છે.
આથી ઘોઘારોડ પોલીસે આ બાબતને ધ્યાનમાં રાખીને આરોપી સંજય અને મુકેશ પટેલ સામે સામાન્ય ગુનાહિત માનવવધની જગ્યાએ સીધો જ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.



