અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશીલા ક્રોસ રોડ નજીક બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ ફાયરિંગની ચોંકાવનારી ઘટના બની હતી. મકાનના વિવાદને લઈને પ્રજાપતિ પરિવારના ભાઈઓ અને અન્ય સંબંધિત લોકો સમાધાન માટે એકઠા થયા હતા. આ દરમિયાન કોઈ મુદ્દે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યાં હાજર પ્રમોદ નામના વ્યક્તિએ ફાયરિંગ કરી દીધું હતું.
સમાધાન માટે આવેલા ભાઈને જાંઘમાં વાગી ગોળી
ફાયરિંગમાં સમાધાન માટે આવેલા એક ભાઈની જાંઘમાં ગોળી વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સેક્ટર-2 JCPએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તની હાલત ગંભીર કે ક્રિટિકલ નથી.
ફાયરિંગ બાદ પોલીસની કાર્યવાહી, હથિયાર સાથે લોકો ઝડપાયા
ઘટનાને પગલે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ગોળી ચલાવનાર મુખ્ય આરોપી સહિત સમાધાન બેઠકમાં હાજર રહેલા અન્ય લોકોને પણ હથિયાર સાથે ઝડપી લીધા છે. હાલ પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલામાં કોની શું ભૂમિકા હતી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.



