આજે ફરી સંસદ તરફ માર્ચ કરશે CJP : CJPના સ્થાપક અભિજીત દીપકેએ મધરાત્રે જાહેરાત કરી હતી, કે સરકાર સામેનું આંદોલન યથાવત રહેશે અને મંગળવારે ફરીથી સંસદ તરફ માર્ચ કાઢવામાં આવશે. પાર્ટીનું કહેવું છે, કે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
મોડી રાતે ફરી જંતર-મંતર પર ઉમટી ભીડ
સોમવારે દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી CJPનું મંચ અને બેરિકેડ્સ હટાવી દીધા હતા. જો, કે મોડી રાત્રે ફરી સેંકડો કાર્યકરો અને વિદ્યાર્થીઓ જંતર-મંતર પર ભેગા થયા હતા અને અસ્થાયી તંબૂ તથા મંચ ઉભો કરીને આંદોલન ફરી શરૂ કર્યું હતું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની મુખ્ય માંગ
CJP અને વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી NEET સહિતની પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓના મુદ્દે વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે. આંદોલનને સમર્થન આપનાર સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત બગડતાં તેમને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પથ્થરમારો, લાઠીચાર્જ અને ઘાયલો
સોમવારે સંસદ તરફ આગળ વધતી ભીડને રોકવા માટે પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ અથડામણમાં 118થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે અનેક પ્રદર્શનકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જંતર-મંતર વિસ્તારની મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ મોડી રાત સુધી બંધ રાખવામાં આવી હતી.
સરકાર સાથે વાટાઘાટો, નડ્ડાને સોંપાયું મેમોરેન્ડમ
હિંસક વાતાવરણ વચ્ચે CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે બેઠક કરીને પોતાની ત્રણ મુખ્ય માંગણીઓ ધરાવતું મેમોરેન્ડમ સોંપ્યું હતું. સરકારે આગળ પણ ચર્ચા ચાલુ રાખવાની ખાતરી આપી હોવાનું CJPના નેતાઓએ જણાવ્યું છે.
દિલ્હી પોલીસ એલર્ટ, તપાસ તેજ
મંગળવારે ફરી સંસદ માર્ચની જાહેરાત બાદ દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવી છે. CCTV ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. અનેક FIR નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સંસદ તથા જંતર-મંતર વિસ્તારને હાઈ-સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે.




Leave a Comment